Monday, August 28, 2023

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૧.

બાબાઓની લીલાઓનો પર્દાફાશ– ભાગ–૧.

રજુ કરનાર– શ્યામ માનવ અગ્રણી મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિ.

 

જ્યારે સમાજમાં રાજ્ય સત્તા અને ધર્મ સત્તા એ બંને એક થઈ જાય છે ત્યારે સમાજનો બેડો પાર થઈ જાય છે.- આસારામ બાપુ

ઉપરના સુવચનો આ બાપુએ આજીવન કેદની સજાના ચુકાદા પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બહુમાન કરતા સમયે ઉચ્ચારેલા.( જેની વીડીયો લીંક લેખને અંતે મુકી છે.)

હરિયાણા–પંજાબ રાજ્યમાં કરોડો ભક્તો પર ભુરકી નાંખી રાજકીય દરેક પક્ષોને પોતાને ઇશારે નચાવનાર ડેરા સચ્ચાના સંચાલક રામ– રહીમ બાબાની મતના રાજકારણની તાકાતને નજરઅંદાજ ન કરી શકાય! (Revealed: The BJP & Baba Rahim's Connections; From Dera Funding to Elections) હાલમાં રામ–રહીમા બાબા આસારામ બાપુની માફક સગીરબાળાઓના જાતીયશોષણ અને અન્ય ગુનાઓ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.જે દિવસે હરિયાણા રાજ્યની પંચકુલા જીલ્લા કોર્ટે રામ–રહીમ બાબાને બે ગુનાઓ માટે બે વાર આજીવન કેદની સજા જાહેર કરી. તે દિવસે સદર જીલ્લા કોર્ટ સામે જ અને તે શહેરમાં તેના ભક્તો અને રાજકીય ટેકેદારોએ કરેલ તોફાનોમાં ૩૨ મૃત્યુ પામ્યા, હજારો ઘાયલ થયા અને કરોડો રૂપિયાની જાહેર અને ખાનગી મિલકતોને ફુંકી દેવામાં આવી. કારણકે આ બાબાઓ કાયદાના શાસનથી પર છે. જે બધી લીલાઓ કરી રહ્યા છે તે પૃથ્વી પરના ઇશ્વરી એંજટ તરીકે જ કરી રહ્યા છે.

    આ બાબાઓ 'ગોડમેન' તરીકે આટલી બધી સત્તા કેવી રીતે મેળવી શકે છે? કોણ તેમને આટલી બધી નાણાંકીય સાધન સંપત્તિ પુરી પાડે છે? આંધળાભુત થઇ ગયેલા ભક્તો ઉપરાંત આ બાબાઓની રાજ્યકર્તા નેતાઓ સાથેની તેમની જુગલબંધી પણ ઓછી જવાબદાર નથી. બાબાઓને નાણાંની રેલમછેલ અને રાજકીય સત્તા કવચ જોઇએ છીએ. જ્યારે રાજકરણીઓને સત્તા મેળવવા બાબાઓના ભક્તોના મત જોઇએ છીએ.રામ–રહીમ બાબાના ભક્તોના મત લેવા, બાબાના વખાણ કરવામાં દેશના વડાપ્રધાન મોદીથી માંડીને અકાલી દલ અને કોંગ્રસના નેતાઓ પણ બાકાત નથી.

                               BABA FUNDED BY BJP

હરીયાણા બીજેપી સરકારના ત્રણ મંત્રીઓએ ૧ કરોડ અને ૧૨લાખ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાંથી રામ–રહીમ બાબાને આપ્યા હતા. આજીવન કેદની સજાના ચુકાદાના દસ દિવસ પહેલાં હરીયાણા સરકારના શિક્ષણ મંત્રી રામ બીલાસ શર્માએ રાજ્યની તિજોરીમાંથી રૂપીયા ૫૧લાખની માતબર રકમ ચેકથી બાબાના જન્મ દિવસે 'રમતગમત'ની પ્રવૃત્તી માટે પ્રોત્સાહનના વહીવટી નેજાના હેડ નીચે બાબાના આશ્રમમાં જઇને આપી હતી. મીડિયા પાસે પુરાવા છે કે જ્યારે જ્યારે હરીયાણા રાજ્ય મંત્રીઓ બાબાના દર્શન કરવા તેમના આશ્રમે જાય છે ત્યારે રાજ્યની તિજોરીમાંથી મબલખ નાણાંની ભેટ આપીને આવે છે.

ન્યુયોર્ક ટાઇમ્સના એક પત્રકારે બાબા રામદેવ 'પતાજંલી' ઔષધી સામ્રાજ્યની હરિદ્રાર મુકામે બે દિવસની રૂબરૂ મુલાકાત લઇને તપાસનું તારણ કાઢયું હતું કે સને ૨૦૧૪ પછી મોદી સત્તાકાળની મીઠી નજર નીચે 'પતાજંલી' નું નાણાંકીય ટર્નઓવર ૧૦,૦૦૦ કરોડ ઉપરનું થઇ ગયું છે. સદર પત્રકારને રામદેવ બાબાએ બે દિવસ સુધી પોતાના તમામ અંગત સુખસાધન સમૃધ્ધીનાં લાજવાબ દર્શન કરાવ્યા હતા અને ગુણગાન સુનાયા હતા.સદર પત્રકારે ત્યારબાદ ન્યુયોર્ક ટાઇમ્સમાં ફોટાઓ અને અન્ય પુરાવા સાથે ચોંકાવનારી વિગતો સાથે લેખ પ્રકાશીત કર્યો હતો.

હવે આપણે મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલન સમિતિની બાબાઓના ચમત્કારોના પર્દાફાશની પ્રવૃત્તીઓની વિગતે અગ્રણી શ્યામ માનવના યુ ટયુબ ઇન્ટરવ્યુમાંથી સમજીએ.આ મિશનમાં દેશભરની હ્યુમેનીસ્ટ–રેશનાલીસ્ટ ચળવળના જે અગ્રણીઓએ હિંદુ ઉગ્ર સનાતની ધર્મીઓની ગોળીઓના બલી બનીને જાન ગુમાવી છે તે બધાને શ્રધ્ધાંજલી રૂપે યાદ કરી લઇએ. મારે આ લેખ ૨૦મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ પોસ્ટ પર મુકવો હતો. પણ ન મુકી શક્યો તેનું મને ખુબ જ દુ;ખ છે.કારણકે બરાબર આ જ દિવસે દસવર્ષ પહેલાં ૨૦મી ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સવારે ૧૦ વાગે પુના મુકામે મહારાષ્ટ્ર અંધશ્રધ્ધા નિર્મુલનના પ્રમુખ ડૉ. નરેન્દ્ર દાભોલકરની પેલા યુવાનોએ મોટર સાયકલ પર આવીને તેમની હત્યા કરી હતી. દસ વર્ષના સમય પછી હજુ ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો નથી.

  આ સમય ગાળામાં અમારી ચળવળે મહારાષ્ટ્ર કોલ્હાપુરમાંથી સાથીદાર ગોંવિંદ પાનસરે(૧૫–૦૨–૨૦૧૫), કર્ણાટક ધારવાડમાંથી પ્રો. કલબુર્ગી,(૩૦–૦૮–૨૦૧૫) અને બેંગલોરમાંથી ગૌરી લંકેશ(૦૫–૦૯–૨૦૧૭) દાભોલકરને જે રીતે ગોળીઓથી વીંધી નાંખ્યા તે જ મોડેલ પર આ ત્રણે ય મહામુલ્ય બિરાદરોના જાન લેવાયા છે. તેમને સ્મૃતિ વંદના સાથે અમે પ્રતિબધ્ધ છે કે દિવંગત સાથીઓ! અમે તમારા મિશનને કમસે કમ મૃતપ્રાય થવા તો દીધું નથી. તે મિશનની જ્યોત જલતી તો રાખીજ છે.

યુ ટયુબ ચેનલ–પબ્લીક ઇંડીયા–થર્ડ આઇ– એન્કર– આનંદ વર્ધન સીંગ– ઇન્ટરવ્યુ આપનાર–શ્યામ માનવ.

એન્કર– હિંદુધર્મમાં કયા કારણોસર તે ધર્મની સ્રીઓ આવા કહેવાતા ચમત્કારી બાબાઓની જાતિયશોષણની ચુંગલમાં ફસાય છે?

શ્યામ માનવ– હું તમારા પ્રશ્નનો જવાબ આપું પહેલાં હું આપને અમારી સંસ્થા દ્રારા જે ગોડમેન– ઇશ્વરી એજંટોનો પર્દાફાશ કરી ઘણાને જેલના સળીયા પાછળ મોકલ્યા છે તેની હકીકતો ખુબજ ટુંકમાં જણાવું. કારણકે હિંદુ સ્રીઓના જાતીય શોષણ માટેની આ બાબાઓની પધ્ધતી ' મેથોડોલોજી' ને સમજવાની તાતી જરૂર છે. કારણકે આવા ગુનાઓ માટે આજીવન કેદની સજા ભોગવનાર અને જેલમાં રહેનાર બાબોની ભક્ત સંખ્યામાં હજુ સુધી કોઇ ઓટ આવી નથી.

(૧)  અમારી સંસ્થા દ્રારા જે બાબાઓની આવી પ્રવૃત્તીઓનો પર્દફાશ કર્યો છે, તે બાબાઓ ભગવાનશ્રી રામને પુરષોત્તમ મર્યાદા પુરુષ ગણે છે. તેથી તે બધા શ્રી રામના વારસદાર છે તેવો દાવો કરતા નથી. શ્રી કૃષ્ણ જેવી લીલાઓ શ્રી રામની નહી હોવાથી, શ્રીરામ, સ્રીઓના જાતીય શોષણ માટે પણ પવિત્ર મર્યાદપુરુષ સાબિત થયેલ હોવાથી બાબાઓના ધંધાઓની સ્થાપના, વિકાસ અને આર્થીક સામ્રારાજય પેદા કરવા પણ વર્જય સાબિત થયા છે.

(૨) ધર્મના નામે સ્ત્રીઓનું જાતીય શોષણ ફક્ત હિંદુ ધર્મમાં થતું હોય એવું નથી. વિશ્વમાં આમાંથી કોઈ ધર્મ કે તેના પંથો–સંપ્રદાયો બાકાત નથી. વિશ્વના ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મમાં પણ સ્ત્રીઓના શોષણના ઘણા બધા પુરાવા મળે છે.પશ્ચીમી દેશોમાં ખ્રિસ્તી ધર્મની અંદર પાદરીઓ દ્રારા ચર્ચના મઠમાં રહેનારી કુંવારીસ્રીઓ(સંન્યાસીનીઓ-NUNS) અને ચર્ચમાં આવતા કુમળા બાળકોનું જાતીય શોષણના ઘણા કાયદાકીય પ્રશ્નો પેદા થયેલા છે. છેવટે રોમન કેથોલિક સંસ્થાના સંચાલકો કોર્ટની અંદર– કે બહાર વળતર રૂપે નાણાંકીય સમાધાન મા બાપો સાથે કરે છે. પણ આવા ગુનાહિત જાતીય વિકૃત માન્યતા ધરાવનાર કહેવાતા ધર્મપુરુષોને સજા કે તેમના તંત્રમાંથી કાયમી દુર કરવાને બદલે આફ્રીકાના દેશોમાં તે બધાને ધર્મના(?)પ્રચાર માટે મોકલી દેવામાં આવે છે. થોડા સમયમાં તે દેશોમાં પણ આ બધા પોતાનો જુનો ધંધો શરૂ કરી દે છે.

(૩) ઇસ્લામ ધર્મની અંદર પણ એક 'નિકાહ હલાલા' નામની પ્રથા છે જેમાં તલાક લીધેલ સ્ત્રીને ફરી એના પહેલાંના પતિ સાથે લગ્ન અથવા તો શાદીથી જોડવાયું હોય તો તેને ' નિકાહ હલાલા' સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

(૪) ભારતમાં હિન્દુ ધર્મની સાથે જૈન, બૌદ્ધ ધર્મ અને અન્ય સંપ્રદાયોમાં, તે ધર્મનો પ્રચાર કરનાર ધર્મગુરુઓ ભગવાન બની શકે છે. અથવા તો અવતારી પુરુષ બની શકે છે. હિન્દુ ધર્મ સિવાય દુનિયાના કોઈ દેશની અંદર ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામ ધર્મની અંદર કોઈ પણ પાદરી કે મૌલવી એવો દાવો નથી કરતા કે તે પોતે ભગવાનનો અવતાર છે. 

(૫) ફક્ત હિન્દુ ધર્મમાં એવો વિશ્વાસ અને અંધશ્રદ્ધા પેદા કરવામાં આવી છે કે આપણા ધર્મગુરુઓને એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે તેઓ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળને જોવાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. એવો વિશ્વાસ જનતા ઉપર પેદા કરી શકે છે કે હું ત્રિકાળ જ્ઞાની છું. મારી પાસે એવી શક્તિ છે કે હું મારા ભક્તોનો તે બધાના પૂર્વ જન્મ અને પુનર્જન્મ વિષે બધું જ જાણી શકું છું.તેના આધારે તમારી આધી વ્યાધિ ઉપાધી દુર કરી શકું છું.તમારા અંગત જીવનના બધા પ્રશ્નો ઉકેલી શકું તેવી સિધ્ધી મારી પાસે છે. હસ્તગત થઈ છે. તેને આધારે હું મારા ભક્તોની તમામ પ્રકારની બીમારીઓ છે એને દૂર કરવાનું સામર્થ્ય  પ્રાપ્ત કરેલું છે.વીડીયો– ન. મોદી આશારામ સાથે.

https://youtu.be/07Qf_ctOnHw?si=ciewEAWPEZm7xK_C

વધુ આવતા અંકમાં ભાગ–૨ માટે થોડી રાહ જુઓ.

 


--