Sunday, March 28, 2021

“ હું આસ્તીક રેશનાલીસ્ટ છું......લે. ગુણવંત શાહ.

" હું આસ્તીક રેશનાલીસ્ટ છું. મને ચમત્કાર અને વહેમમાં શ્રધ્ધા નથી." ગુણવંત શાહ. ( સૌ. સત્યાન્વેષણ માસિક– ૧૫મી માર્ચ અંક ટાઇટલ પેજ પાન નં–૨.)

અમારા એક સમયના સાથી ખીમજીભાઇ કચ્છીના દુ;ખદ અવસાન નિમીત્તે સ્મરણાંજલી આપતાં વડોદરાના જાણીતા લેખક ગુણવંત શાહે પોતાના સંદેશામાં ઉપર મુજબના શબ્દો પ્રથમ લખ્યા છે. સમગ્ર શોક સંદેશમાં તમામ નીજી વાતો ખીમજીભાઇ અને તેમની છે. જેના અંગે કશું કહેવાનં હોય જ નહી. આપણને  ધર્મનિરપેક્ષ રેશનાલીસ્ટ તરીકે ઉપરના પ્રથમ વાક્યમાં જ રસ છે.

 સામાન્ય રીતે ગુજરાતની રેશનાલીસ્ટ પ્રવૃત્તી સાથે જોડાયેલા સાથીઓનું મુખ્ય કામ અંધશ્રધ્ધા, વહેમો, અને બિનવૈજ્ઞાનીક અભીગમો સમાજમાંથી વ્યક્તીગત અને સામુહીક ધોરણે છે તેને જ્ઞાન અને જાગૃત્તા કેળવી દુર કરવાનું છે. સાથે સાથે એ પણ સમજ હોવી જોઇએ કે અંધશ્રધ્ધા, વહેમી અને અજ્ઞાનતાને ટકાવી રાખનાર કોઇ પરિબળો હોય તો તે પ્રજાનું આસ્તીક કે ઇશ્વરી આસ્થાનું વલણ. માનવીની ઇશ્વરી આસ્થા તેને પોતાના પ્રયત્નોમાં માટે જે માનસીક પ્રતીબધ્ધતા કેળવાવી જોઇએ તે પેદા કરતી નથી.જે પ્રજા કુદરતી પરિબળોને ભજે છે, પુજે છે તે ક્યારેય કુદરતી પરિબળોના નિયમોને સમજીને પોતાનો જીજીવિષા માટેનો જૈવીક સંઘર્ષ પર કાબુ મેળવી શકવાની છે ખરી?

આસ્તીકતા માનવીને પરોપજીવી બનાવે છે.સંઘર્ષજીવી કે આંદોલનજીવી બનાવી શકતી નથી. દેશ અને દુનીયાનો ઇતીહાસ પરોપજીવીઓએ બનાવ્યો નથી. પણ  વર્તમાન વ્યવસ્થાના અમાનવીય માળખા અને રીતરસમો સામે સંઘર્ષ કરનારાઓએ બનાવ્યો છે. આસ્તીકો હંમેશાં " જે સે થે વાદી" ઓ હોય છે. તે બધા હંમેશાં વર્તમાન ધર્મસત્તા, રાજ્યસત્તા , અર્થસત્તા અને સમાજસત્તાના છડીધરો જ હોય છે. તેમના નીજી હિતો અને પેલી બધી સત્તાઓના નીજી હિતો સાથે તેમના ઘનિષ્ઠ હિતો સંકળાયેલા હોય છે.

રેશનાલીસ્ટોનું પ્રેરકબળ ઇશ્વરના અસ્તીત્વની બાદબાકી થતાં માનવકેન્દ્રીત પ્રયત્નોમાં સંગઠીત થઇ જાય છે. રેશનાલીસ્ટોનું સત્ય ઇન્દ્રીયજન્ય અનુભવ, બાહ્યનિરિક્ષણ અને પુરાવાઆધારીત (Evidence based) હોય છે. રેશનાલીસ્ટ સત્યશોધક તરીકે  કોઇ ધાર્મીક ગ્રંથ, ગુરૂ, પાદરી, પોપ કે પૈયગમ્બરી હકુમતને સત્યના વાહક તરીકે સ્વીકારતો નથી. રેશનાલીસ્ટ ક્યારેય કોઇ સત્યને આખરી સત્ય કે બ્રહ્મવાક્ય તરીકે સ્વીકારતો નથી. નવું જ્ઞાન, માહિતી કે વૈજ્ઞાનીક શોધોની મદદથી તેના સત્યના તારણો હંમેશાં બદલતો રહે છે. રેશનાલીસ્ટનો અભીગમ હંમેશાં જ્ઞાન–વિજ્ઞાન આધારીત હોવાથી તે પરિવર્તનશીલ હોય છે. તેનો અભીગમ ક્યારેય હઠાગ્રહી કે મતાંધ હોતો નથી. તેનું વ્યક્તીત્વ અન્ય માનવો પ્રત્યે સહનશીલ, સહીષ્ણુ અને સહજ ભરોસાપાત્ર હોય છે.


--

Thursday, March 25, 2021

ચાલો સમજીએ રેશનાલીઝમને

ચાલો સમજીએ રેશનાલીઝમ–પ્રો. અશ્વિનભાઇ કારીઆ.

પુસ્તક પરિચય– ગુજરાતની રેશનાલીસ્ટ ચળવળને બળવત્તર બનાવવા માટે  '  ચાલો સમજીએ રેશનાલીઝમ' પુસ્તકની આ બીજી આવૃત્તી આપણને ઘણી મદદરૂપ થાય તેમ છે.ગુજરાતમાં આ ચળવળની સરળ ઓળખ માટે હજુ સર્વમાન્ય શબ્દ વિકસ્યો નથી અથવા સ્વીકૃત બન્યો નથી. રેશનાલીઝમને ગુજરાતીમાં તર્કવિવેકશક્તી, વિવેકબુધ્ધીવાદ, બુધ્ધિનીષ્ઠા જેવા શબ્દો દ્રારા ઓળખાવવાના ઘનિષ્ટ પ્રયત્નો થયા છે. પણ લોકભોગ્ય ભાષા કે તેના ચલણમાં રેશનાલીઝમ શબ્દ જ ગુજરાતીમાં ટકી રહ્યો છે. રેશનાલીઝમના પ્રચારકો તેમજ વિરોધીએ માટે  માધ્યમ તો રેશનાલીઝમ જ બની ગયો છે.

અંગ્રેજી ભાષામાં 'રેશનાલીઝમ' એક શબ્દ તરીકે ફક્ત સ્વીકૃત બન્યો નથી પણ આજથી  ૧૧૫ વર્ષ પહેલાં લંડન રેશનાલીસ્ટ એસોસીયેશને રેશનાલીઝમની વ્યાખ્યા વિશ્વ સમક્ષ રજુ કરી હતી. તે આજે પણ સર્વમાન્ય છે. તેનો ભાવાનુવાદ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. " રેશનાલીઝમ એક માનસીક અભિગમ છે. જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે. જેનો હેતુ ફિલસુફી તથા નીતિશાસ્રની એવી તરાહ સ્થાપવાનો છે કે  અધિકારી માનતા  કોઇપણ વ્યક્તી કે ગ્રંથ ( ઓથોરીટી) એકપક્ષીય માન્યતાઓથી સદંતર મુક્ત હોય. જે તરાહને  તર્ક તથા વાસ્તવિક અનુભવ– પ્રયોગ ચકાસી સત્ય– અસત્ય  સિધ્ધ કરી શકાય."

 રેશનાલીઝમની ઉપરની વ્યાખ્યાને સમજવી ખુબજ મહત્વની એટલા  માટે છે કે  તેની સ્પષ્ટ સમજણથી  આપણા પોતાનું રેશનલ વર્તન અને વ્યવહાર વિકસી શકે તેમ છે.  તે એક વિચાર કરવાની પ્રક્રીયા છે. એટલું જ નહી પણ તે વિવેકશક્તિની મદદથી સાચુ શું અને ખોટું શું અથવા કોઇપણ પ્રસંગ, બીના, કુદરતી ઘટના વી સમજવાનો કે સત્ય શોધવાનો માર્ગ છે.  દરેક પ્રસંગ કે ઘટના પાછળ કારણ હોય છે. કારણ સિવાય કશું બને જ નહી. કારણની સર્વોપરિતામાં વિશ્વાસ તે રેશનલાઝીમની કરોડરજજુ છે.  સત્ય શોધવા માટે રેશનાલીઝમ ક્યારેય ખાસ કરીને કોઇ પણ ધર્મગ્રંથો, તેના સર્જનહારમાં તેમજ  તેમાં નિરૂપણ કરેલા સત્યોને જ્ઞાન, નિરિક્ષણ ને તર્કની એરણ પર તપાસ્યા સિવાય સત્ય તરીકે સ્વીકારવામાં આવતા નથી. માનવીની અન્ય સજીવો સહિતની  રેશનલ વૃત્તી ( સત્ય શોધવાની કાબેલીયાત) જૈવીક છે. અને તે જીજીવિષા ટકાવવાની ઝંખના ( Urge to Exist)માંથી વિકસેલી છે. વધારામાં સદર રેશનલવૃત્તીને વિકસાવવામાં કુદરતી નિયમબધ્ધતાએ મુળભુત ભાગ ભજવેલ છે. કુદરતી બનાવો ઇશ્વરી, અલૌકીક, કે કોઇ દૈવી પરિબળની ઇચ્છાઓના પરિણામ ક્યારેય નહતા. આજે પણ નથી અને ભવીષ્યમાં પણ બનવાના નથી. માનવીનો તમામ વ્યક્તીગત વિકાસ તે આવી માનવીની 'રેશનલવૃત્તી' નું જ પરિણામ છે.

રેશનાલીસ્ટ વ્યક્તી વિશ્વના તમામ વ્યક્તીઓને ફક્ત માનવી જ ગણે છે. માનવી એટલે ફક્ત કાળામાથાનો માનવી. તેની જાતી, લીંગ, ધર્મ, જ્ઞાતી કે રાષ્ટ્ર જેવા કોઇપણ સામુહીક તફાવતોની વફાદારીમાં પોતાની જાતને ઓગાળી નાંખતો નથી.  આવા સમુહોના કોઇપણ બંધનોએ બનાવેલી બેડીઓથી તે હંમેશાં મુક્ત છે. સ્વતંત્ર છે. રેશનલ માનવીના તારણો હંમેશાં મુક્ત અને ખુલ્લા હોય છે. નવી માહિતી પોતાના તારણો સામે મલતાં તે સરળતાથી વિના વિઘ્ને કે વિરોધ વિના પોતાનું વલણ બદલીને તે પ્રમાણે કાર્ય કરતો થઇ જઇ જાય છે. નવા સત્યો તેને સહનશીલ કે સહિષ્ણુ અને પરિવર્તનશીલ બનાવે છે.

નૈતીક્તા અંગે રેશનલ અભિગમ– કોઇપણ રેશનાલીસ્ટ ધર્મ આધારિક નૈતીક વ્યવહારોમાં વિશ્વાસ ધરાવતો નથી. કારણકે તમામ ધર્મોના નૈતીક વ્યવહારોનું સર્જન મૃત્યુ પછીના જીવનને નિયમન કરવા માટે અસ્તીત્વમાં આવેલ છે. નર્ક, સ્વર્ગ, પાપ પુન્ય, કયામતનો દિવસ કે મુક્તિનો દિવસ ( ડે ઓફ સાલવેશન), વી. આધારીત રેશનાલીસ્ટનો નૈતીક વ્યવહાર કદાપી હોઇ શકે નહી. ઉચનીંચ, અસ્પૃશ્યતા, વર્ણવ્યવસ્થાને ઇશ્વરી સર્જન રેશનાલીસ્ટ ક્યારેય ગણતો નથી. માનવ માત્ર જન્મ થી જ સમાન છે. માટે એક છે. જે કોઇ ધર્મો, સામાજીક, આર્થીક  કે રાજકીય વ્યવહારો માનવ  માનવ વચ્ચે તફાવત કે અસમાનતા આધારીત વર્તનો કરે છે તે તમામ વર્તનો ઇરેશનલ અથવા  રેશનાલીસ્ટસ વર્તનો હોઇ શકે નહી.

 માનવી રેશનલ છે માટે તેનો વ્યવહાર નૈતીક જ હોવો જોઇએ. માનવીએ તેની નૈતીક્તા ( એક બીજા માનવીઓ સાથેનો નૈતીક વ્યવહાર) પોતાની જીજીવીષા ટકાવી રાખવાની ઝંખનામાંથી બહુજ જટિલ કુદરતી સંજોગો સામે સેંકડો સદીઓના સંઘર્ષો પછી વિકસાવી છે. માનવીએ તેની નૈતીકતાને હવે બંધારણીય મુલ્યોમાં કાયદાની મદદથી વિકસાવીને  આરક્ષીત કરી દિધી છે. વિશ્વમાં હજુ  એવા ઘણા બધા દેશો છે જ્યાંના નાગરીકોના અને રાજ્ય સત્તાના વ્યવહારો ધાર્મીક ગ્રંથો અને ઉપદેશો આધારીત નૈતીક વ્યવહારો અમલમાં છે. તે બધા દેશોના નાગરીકો વિષે જેટલું ઓછું કહીએ તે  જ યોગ્ય છે. આપણા દેશની વર્તમાન રાજકીય સત્તા તે તરફ ઝડપથી સરકતી જાય છે તેવા તાજેતરનાં વૈશ્વીક તારણો છે.

સદર પુસ્તકમાં લેખક શ્રી કારીઆ સાહેબે પોતાની સરળ ગુજરાતી ભાષામાં ' રેશનાલીઝમ અને અનુભવવાદ ( Empiricism), રેશનાલીઝમ અને ઇશ્વરનું અસ્તીત્વ, શું રેશનાલીઝમ માત્ર અંધશ્રધ્ધા સામેની લડત છે? રેશનાલીઝમ અને પુર્વગ્રહો, રેશનાલીઝમ અને લાગણીઓ તેમજ વૃત્તીઓ, રેશનાલીઝમ અને માનવવાદ, વિષયો પર ટુંકમાં સમજાવ્યું છે. શ્રી  કારીઆ સાહેબની સરળ ગુજરાતી કલમ દ્ર્રારા ગુજરાતીમાં પાયાના રેશનાલીઝમ, માનવવાદ,  વી. વીષયો પર આવી સરસ નાની પુસ્તીકાઓનું( સદર પુસ્તીકાના ૪૨ પાનાં છે.) ક્રમશ પ્રકાશન થતું રહે અને વાંચક મીત્રો તેમને આર્થીક સહયોગ પણ આપતા રહીએ તે જ અપેક્ષા.––બીપીન શ્રોફ.

પુસ્તકના પ્રકાશક અને પ્રાપ્તી સ્થાન – ગિરીશભાઇ સુંઢીયા, મહામંત્રી,  બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ, પાલનપુર (૩૮૫૦૦૧) મો. 94266 63821. સહયોગ ધનરાશી –૫૦/.


--

Saturday, March 20, 2021

માનવવાદ પુસ્તકનો પરિચય–

 પુસ્તક પરિચય –  " માનવવાદ "  (ઇતિહાસ, વર્તમાન, સિધ્ધાંતો અને પ્રસતુતા.)

 ગુજરાતી સાહિત્યમાં માનવવાદ અને રેશનાલીઝમ ઉપર તાત્વીક રજુઆત કરનારા આંગળીના વેઢે ગણાવી શકાય તેવા પુસ્તકો ઉપલબ્ધ છે. તેનાથી જુદી સ્થિતિ ભારતીય અંગ્રેજી સાહિત્યમાં પણ આ વિષયમાં નથી. એક સમયે એનડીટીવીના સન્માનીય પત્રકાર શ્રી રવીશકુમારને પોતાના વિષયના ટેકામાં અંગ્રેજીમાં રેફરન્સ માટે ' રેશનાલીઝમ' પર પુસ્તક સહેલાઇથી મલ્યું ન હતું તેવો ઉલ્લ્ખ તેઓશ્રીએ પોતાની અખબારી યાદીમાં જણાવેલો..

અમે, પ્રો. અશ્વીનભાઇ કારીઆ અને મેં સંયુક્ત રીતે ગુજરાતી સાહિત્યમાં ' માનવવાદ' ના વિષય પર સદર પુસ્તક તૈયાર કરીને તે જરૂરીયાતને નમ્ર પણે પુરી કરવાની કોશીષ કરી છે. અમે બંને એ આ વિષય પર શક્ય તેટલી માહિતી પણ સંક્ષીપ્તમાં રજુ કરીને વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કરેલ છે. પુસ્તક વિષે વિગતે લખવાને બદલે આ પુસ્તકમાં જુદા જુદા લેખકોએ પોતે તૈયાર કરેલા વિષયોને ખુબજ ટુંકમાં ક્રમશ વાંચીએ અને સમજીએ.

(૧)  માનવવાદનો સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય– લે– બિપીન શ્રોફ. (અ) માનવવાદી વિચારસરણી ઘણા માટે આ નવી વિચારસરણી લાગતી હશે. પરંતુ તેના મુળ ઘણા ઉંડા છે.તેનો પાયાનો સિધ્ધાંત એ છે કે માનવવાદ એક વિચારસરણી તરીકે ઇશ્વર,ધર્મ અને તેના એંજટોના કામોને માનવહિત વિરૂધ્ધના ગણીને નકારે છે. તે બધાના ઉપદેશો સિવાય માનવી નૈતીક, પ્રામણીક અને સદાચારવાળું જીવન સરળતાથી જીવી શકે છે. આવા વિચારો માનવજાત પાસે હજારો વર્ષોથી હતા. પાનું–૧.

(૨) આશરે ૨૭૦૦ વર્ષો પહેલા થઇ ગયેલા ગ્રીક તત્વચીંતક એપિક્યુરસે માનવવાદ અંગે નીચે મુજબના વિચારો તે જમાનામાં પ્રગટ કર્યા હતા. ( અ)  સમગ્ર બ્રહ્માંડ કોઇ ઇશ્વરી રચનના નથી પણ સંપુર્ણ ભૌતીક પદાર્થનું બનેલું છે. (બ) ઇશ્વરથી ડરવાની જરૂર નથી. (ક) મૃત્યુને કંઇ અનુભવવાનું ન હોય. (ડ)  સુખ, આનંદ અને સમૃધ્ધી આ જીવનમાં જ પ્રાપ્ત થઇ શકે તેમ છે.(ઇ) દુ;ખો સહન થઇ શકે અને તેના  ઉપાયો પણ થઇ શકે.....પાનું–૩...

(૩) માનવવાદી જીવન પધ્ધતીએ ત્રણ પાયાના પ્રશ્નો જે સદીઓથી વણઉકેલ્યા ચાલ્યા આવતા હતા તેના જવાબો શોધી કાઢયા છે. એક– આ જગતનું જ્ઞાન આપણને કેવી રીતે મળે છે અથવા તેને કેવી રીતે ઓળખી શકીએ? જ– આ જગતને આપણો ઇન્દ્રીયજન્ય અનુભવ તથા  બાહ્ય તાર્કીક નિરીક્ષણોને આધારે ઓળખી શકીએ. બે– આ બ્રહ્માંડનું સ્વરૂપ કેવું છે?  ખગોળવિધ્યા અને ભૌતીકશાસ્રની મદદથી તે આ વિશ્વ અને બ્રહ્માંડની ઉત્પત્તિ ને વિકાસને સમજાવે છે. જ્યારે માનવ ઉત્પત્તિ અને તેના સર્જન– વિકાસ ને સમજાવવા જીવવિધ્યા ( બાયોલોજી) ને માનવશાસ્ર્ ( સાયકોલોજી)નો આધાર લે છે.  ત્રણ–હું મારી જીંદગી કેવી રીતે જીવું ? માનવવાદ એક નૈતીક વિચારસરણી છે. તે માનવ શક્તિ અને પ્રયત્નોમાં વિશ્વાસ રાખી દરેક માનવીને પોતાની શક્તિ મુજબ શ્રૈષ્ઠ જીવન જીવવાની તક આપે છે...પાન..૯.

(૪) માનવવાદ–ત્રીજા વિશ્વની જરૂરીયાત . લે– ડૉ ઇન્દુમતી પારેખ– માજી પ્રમુખ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. " આજે આપણે ગરીબી, અજ્ઞાનતા, વસ્તી વિસ્ફોટ, ધાર્મીક કટ્ટરવાદ, અને નસીબવાદી  વલણના વિષચક્રમાં ફસાયેલા છીએ. માનવવાદી દ્રષ્ટીકોણ આ વિષચક્રને તોડવામાં આપણને મદદરૂપ થશે."...પાનુ..૧૨.

(૫) માનવવાદના સિધ્ધાંતો અને મુલ્યો– લે– પોલ  કુત્સ, તંત્રી " ફ્રી ઇન્કાવયરી" યુ એસ એ. પ્રો પોલ કુત્સે માનવવાદી ઉદ્ઘોષણાઓ તરીકે ૨૦ સિધ્ધાંતો ઘણા બધા બૌધ્ધીકો તથા નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનીકોની મદદથી તૈયાર કર્યા છે. તેનો બિપીન શ્રોફે જે ભાવાનુવાદ તૈયાર કરેલો હતો તે અત્રે મુકવામાં આવ્યો છે. પાનું– ૧૧થી ૧૫.

(૬)  સદર માનવવાદી ઉદ્ઘોષણોનું ખુબજ સરસ રીતે શ્રી પ્રેમનાથ બજાજ જેઓ એક સમયના કાશ્મીરમાં ભારતની આઝાદી પહેલાં, સ્વતંત્રતા માટેની ચળવળમાં સંઘર્ષ કરતા રેડીકલ હ્યુમેનીસ્ટ હતા, તેઓએ અંગ્રેજીમાં મુલ્યાંકન કરેલું છે. તેનું શ્રી અશ્વિનભાઇ  ખુબજ સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ છે. તેમના લેખમાં મોક્ષ અંગે આ પ્રકારના વિચારો રજુ કર્યા છે. " મોક્ષ અથવા નર્કની બીક ભ્રામક છે. તેથી નુકશાનકારક છે. આ બંને ખ્યાલો  માનવીને તેના વર્તમાન જીવનની ચિંતા કરતા અટકાવે છે. આ વલણથી સામાજીક અન્યાયો દુર કરવાની હિંમત લોકોમાં પેદા થતી નથી. માનવીને કે તેથી કોઇપણ સજીવના મૃત્યુ પછી જીવનના અસ્તીત્વનો કોઇ વિશ્વાસનીય  પુરાવો ઉપલબ્ધ નથી.પાનું ૧૯.  વધુમાં જણાવ્યું છે કે  ધર્મ અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ ભેદરેખા જરૂરી છે. રાજ્યે એક ધર્મની તરફેણ કરવી જોઇએ નહી.સરકારી નાણાં કોઇધર્મના પ્રચાર માટે ખર્ચી શકાય નહી.ધાર્મીક  સ્વાતંત્રય અધિકારમાં કોઇ ધર્મમાં ન માનવાની પણ છુટ હોવી જોઇએ. નાસ્તીકો તરફે રાજ્યનું તિરસ્કૃત વલણ ન હોવું જોઇએ. પાનું.૨૧.  

(૭)  માનવવાદ શું છે? લે. માજી જસ્ટીસ વી. એમ. તારકુંડે. અનુવાદક પ્રો. દિનેશ શુક્લ. મનુષ્ય બધી જ વસ્તુઓનો માપદંડ છે. મનુષ્ય સ્વંયમેવ ધ્યેય છે. કોઇ નેતા, વિચારસરણી કે રાષ્ટ્રવાદ જેવા સમુહના ધ્યેય સિધ્ધ કરવાનું તે કોઇ સાધન નથી... સ્વાતંત્ર્યના મુલ્યનું ઉદ્ગમસ્થાન  માનવીના અસ્તીત્વ માટેના સંઘર્ષમાં રહેલું છે. તે સમગ્ર સજીવ જૈવીક જગતનું પાયાનું કે મુળભુત લક્ષણ છે...દરેક ઇષ્ટ સામાજીક ક્રાંતી કરતાં પહેલાં સાંસ્કૃતીક પરિવર્તન અનિવાર્ય છે..પાનું..૨૬.૨૭.

(૮) ભારતીય રેનેશાં પુર્નજાગરણ( દુન્યવી જ્ઞાન આધારીત) ક્રાંતી ની કસુવાડ. પ્રો. દિનેશ શુક્લ– ભારતમાં  લગભગ આઠમીસદીની આસપાસ  ઇહલોકને (વાસ્તવીક જીવન) બદલે પરલોક પર વિશેષ ભાર મુકતાં પ્રજા એવું માનવા લાગી કે ભૌતીક જગત એ માયા છે. માનવ શરીર આત્માને કેદમાં પુરનાર એક જેલ છે. જન્મમરણના ફેરામાંથી મુક્તિ એજ મનુષ્યના જીવનનો શ્રૈષ્ઠ આદર્શ છે. સંયમ, બ્રહ્મચર્ય, અનાશક્તિ, ધ્યાન વગેરે  સમાજના સર્વશ્રૈષ્ઠ આદર્શો ગણાયા...આખો સમાજ કર્મના સિધ્ધાંતના પ્રભુત્વ નીચે જબ્બરજસ્ત આવી ગયો. તેણે પ્રવર્તમાન જ્ઞાતીપ્રથાના ભાગરૂપે જેને જંગલી કહેવાય તેવી અસ્પૃશ્યતાને દ્રઢીભુત કરવાનું કામ કર્યું. યુરોપના અંધકાર યુગ જેવો જ સમય ભારત માટે હતો. સાંસ્કૃતીક અને બૌધ્ધીક અંધકાર આખા દેશપર છવાઇ ગયો.... પાનું–૩૨.

(૯) એમ.એન. રોયના ગ્રુપ રેડીકલ હ્યુમેનીસ્ટ દ્રારા સને ૧૯૪૬માં પ્રકાશીત કરેલ હ્યમેનીસ્ટ મેનીફેસ્ટોના ૨૨ સીધ્ધાંતો– કાર્લ માર્કસે સને ૧૮૪૮માં કોમ્યુનીસ્ટ મેનીફેસ્ટો બહાર પાડયો હતો.  ત્યારબાદ બરાબર આશરે ૧૦૦ વર્ષ પછી એમ. એન. રોયે પોતે અન્ય સાથીઓ સાથે લંબાણપુર્વક ચર્ચા કરીને માનવવાદી ઢંઢેરો સને ૧૯૪૬માં બહાર પાડયો હતો. જે માનવવાદી મુલ્યો કે સિધ્ધાંતો આધારીત વ્યક્તીગત જીવન અને રાજકીય, સામાજીક અને આર્થિક સમાજની ક્રાંતીકારી નવરચનાનું માળખું પુરુ પાડે છે. તેના બે અગત્યના બે સિધ્ધાંતો અત્રે તે પણ ટુંકમાં રજુ કરૂ છું.

 સિધ્ધાંત નં–૨. " સ્વાતંત્ર્યની ઝંખના અને સત્ય માટેની ખોજ એ મનુષ્ય– પ્રગતી પાછળની મુળભુત પ્રેરણાઓ છે. સ્વાતંત્રયની ઝંખના એ ઉચ્ચ સ્તરે એટલે કે બુધ્ધી અને ભાવનાના સ્તરે ખેલાતી અસ્તીત્વ માટેની જૈવીક  લડાઇ છે. સત્ય માટેની ખોજ પણ તેની આનુષિંગીકતા છે. પ્રકૃતી સંબંધી વધતું જતું જ્ઞાન, માનવીને પ્રાકૃતીક ઘટનાઓ, તેમજ ભૌતીક અને સામાજીક વાતાવરણના જકડી રાખતા પરિબળોથી ઉત્તરોત્તર મુક્તિ બક્ષે છે. જ્ઞાનનું વિષય વસ્તુ જ સત્ય છે."

સિધ્ધાંત નં ૪. " નિયત–નિયંત્રિત ભૌતીક પ્રકૃતિની પશ્ચાદભૂમીકામાંથી મનુષ્યનો આવિર્ભાવ થયો હોવાથી માનવી પણ તત્વત; બૌધ્ધીક ( રેશનલ) છે.. તે તેનો જૈવીક ગુણધર્મ હોવાથી તે મનુષ્યની સંકલ્પશક્તિથી વિપરીત ન હોઇ શકે. બુધ્ધીમત્તા અને ભાવના  એકજ જીવશાસ્રીય ઉદ્ગમસ્થાન ધરાવે છે એમ ઘટાવી શકાય! હકીકતમાં મનુષ્યની સંકલ્પશક્તી એ ઇતીહાસનું સર્જન કરવામાં સૌથી નિર્ણાયક પરિબળ છે..... પાનું–૪૮.

(૧૦)  આમુલ ક્રાંતીનો માર્ગ– લે– ભુતપુર્વ પ્રો. જયંતી પટેલ સમાજવીધ્યા ભવન ગુજ યુની. માજી પ્રમુખ, ઇન્ડીયન રેડીકલ હ્યુમેનીસ્ટ એસો. ––  " ક્રાંતિઓના  ઇતીહાસના અભ્યાસમાંથી તારણ નીકળે છે કે  ક્રાંતીનું પ્રેરક બળ સમગ્ર પ્રજા અથવા / અને અમુક વર્ગની વંચિતાની લાગણી જવાબદાર હોય છે......વિચારો અને સંસ્કારો માત્ર સમાજનું ઉપલકનું તંત્ર( સુપરસ્ટ્રક્ચર ) નથી. પણ તે પણ માનવ ઇતીહાસનું પ્રેરક બળ છે.....ભૌતીકવાદ અનુસાર પ્રથમ પદાર્થ અસ્તીત્વમાં આવ્યો ત્યારબાદ સભાનતા ( કોન્સીયસનેસ) કે ચેતનાનો તેમાંથી વિકાસ થયો..ખરેખરતો  સભાનતા કે ચેતના, મગજ અને વિચાર પદાર્થના જ શ્રૈષ્ઠ સ્વરૂપો છે.

 આ ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ કોમવાદ અને જાતીવાદના પ્રશ્નો કેવી રીતે માનવવાદી વિચારસરણી દ્રારા ઉકેલી શકાય તે વાત ખુબજ સરસ રીતે પોતાના લેખમાં સમજાવી છે. સક્રીય કર્મનીષ્ઠ મનીષી જાની(અમદાવાદ) તથા પ્રો મિહિર દવે( પાલનપુર) એ માનવતાવાદ અને માનવવાદ વચ્ચે તાત્વીક રીતે કયો તફાવત છે તે બે તજજ્ઞોએ પોતાની રીતે ખુબજ સરસ રીતે સમજાવ્યું છે. માનવવાદી વિચારસરણીમાં કેવી રીતે લૈગિંક સમાનતા  અભિપ્રેત ( ઇન બીલ્ટ) છે તે તાર્કીક રીતે  હિમાશીં શેલતે સમજાવી છે. આ ઉપરાંત દેશના રાષ્ટ્રીય કક્ષાના માનવવાદી વિચારસરણીના વિચારકો તેમજ કર્મનીષ્ઠો જેવા કે ડૉ. ઇન્નૈઆહજી, પ્રો નિરંજન ધર, આબે સોલોમન,ઇદ ડોએર, માજી વાઇસ ચાન્સેલર આંધ્ર યુની. પ્રો.એચ નરસીંહૈયાહ વી. ના અભ્યાસપુર્ણ લેખોનો ભાવાનુવાદ પ્રો. કારીઆ સાહેબે કર્યો છે.

મારા મત મુજબ સમગ્ર પુસ્તકને ત્રણેક ભાગમાં વહેંચી નાંખીને તે બધા વિષયો પર અભ્યાસ શિબિરો કરવાની જરૂર છે.

 માનવવાદ  પુસ્તક કુલ ૮૮ પાનાનું છે. સહયોગ ધનરાશી રૂ–૭૦ છે.

પ્રકાશક અને પુસ્તકનું પ્રાપ્તિ સ્થાન ગીરીશ સુંઢીયા, મહામંત્રી, બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ,  ૬૯/૨ ચાણક્ય સોસાયટી,પાલનપુર( ૩૮૫૦૦૧) મો.94266 63821.


--

Tuesday, March 16, 2021

About Sonawala High School

  જુની – નવી સોનાવાલા હાઇસ્કુલનો વિવાદ– કિતના સચ– કિતના જુઠ.

બીપીન શ્રોફ. લુહારવાડ, મહેમદાવાદ. મો. 97246 88733.

 છેલ્લા થોડાક દિવસોથી નામ વિનાની પત્રીકા તથા વોટસપર નામ વિનના મેસેજ દ્ર્રારા  સોનાવાલા હાઇસ્કુલના જુના મકાનને નહી તોડવાના અંગે આપણા ગામના નગરજનો સમક્ષ કેટલીક વાતો રજુ કરવામાં આવે છે. સૌથી ખુબીની કે આશ્ચર્યજનક હકીકત આ વિવાદમાં મહત્વની બાબત એ છે કે  પત્રીકાઓ બહાર પાડનારા અને વોટસઅપ મેસેજ મુકનારાઓને પોતાના નામો  જાહેર કરવાની હિંમત નથી. જો સત્ય તેમની દલીલોમાં હોય તો કયા કયા કારણોસર આ રાવબહાદુરો પોતાના નામો પ્રજા સમક્ષ જાહેર કરવામાં ગભરાય છે. શા માટે ગભરાવ છો? તેમને ખબર હશે કે  નહી પણ હું તે બધાની જાણ માટે જણાવું છું કે નનામી પત્રીકા અને પત્રીકામાં પ્રેસનું નામ ન લખવું તે પોતે જ એક ક્રીમીનલ ગુનો બની ગયો છે. જેમાંથી તમે છટકી શકશો નહી. જો કે તે મારો વિષય નથી.

(૧) સૌ પ્રથમ સમસ્ત ગામના નગરજનોની માહિતી માટે  જણાવું છું કે આ સ્કુલનું મકાન સને ૧૯૪૦–૪૨માં બનેલ છે. આશરે ૮૦ વર્ષો પહેલાં અને તે પણ જે તે  સમયની ઉપલબ્ધ ટેકનોલોજીને આધારે. દા.ત સ્કુલના ધાબાનું તળિયું આર સી સીનું બનેલું નથી.

(૨) આવા જુના મકાનમાં આશરે પાંચ– સાત વર્ષ પહેલાં એક રાત્રે  ધાબા પરનો એક મોટો ટુકડો પહેલા માળની વહીવટી ઓફીસના બાજુના ક્લાસરૂમમાં શિક્ષકના ઉભા રહેવાના બેસવાના ટેબલ ખુરશી પર તુટી પડયો હતો.

(૩) તે સમયે સોનાવાલા હાઇસ્કુલ બોર્ડઓફ મેનેજમેંટનો વહીવટ  ટ્રસ્ટડીડની જોગવાઇઓ પ્રમાણે  ચાલુ ન હતો. કારણકે નગરપાલીકાનો વહીવટ તાલુકા મામલતદાર સાહેબ પાસે હતો . જે તે સમયના આચાર્યે બીજે દિવસે સવારે  મામલતદાર સાહેબને બોલાવીને  સ્કુલના ધાબાનો કેટલોક ભાગ તુટવાની હકિકતથી સ્થળ પર લઇ જઇને  વાકેફ કર્યા હતા. મામલતદાર સાહેબે તાત્કાલીક જીલ્લા કલેકટરને પરિસ્થીતીથી વાકેફ કર્યા.

(૪) નવી સ્કુલબોર્ડની રચના થતાં બોર્ડના તમામ સભ્યોએ ( દાતા સોનાવાલા શેઠના પ્રતીનીધીઓ સહિત) સ્કુલ જમીનના આજ સર્વે નંબર  ૯૩૭માં જેને ટ્રસ્ટની જોગવાઇઓ પ્રમાણ 'ફર્સ્ટ પ્રોપર્ટી' જાહેર કરી છે તેમાંજ  નવું મકાન બાંધવાનો નીર્ણય સદર જુના મકાનના પાછળના ભાગમાં કર્યો હતો. કારણકે ટ્રસ્ટડીડની જોગવાઇઓ મુજબ તેના સંલ્ગન સર્વે નંબર ૩૧૩–એ–૨ ' સેકંડ પ્રોપર્ટી ' તરીકે રમતગમતના મેદાન માટે ' ઓપન ટુ સ્કાય' ખુલ્લો રાખવાનો છે. નવા મકાન તૈયાર થતાં વીધ્યાર્થીઓને તાત્કાલીક જુના મકાનમાંથી નવા મકાનમાં ટ્રાન્સફર કરી દેવા. જેથી જુના મકાનમાં કોઇ અકસ્માત થાય તો વિધ્યાર્થીઓની જાન હાની થાય નહી. અને જુનું મકાન જમીનદોસ્ત કરી દેવું. આ બધીજ કાર્યવાહીમાં મુંબઇના સોનાવાલા શેઠના પ્રતીનીધીઓની ઠરાવોમાં સહીસીકકાઓ છે.નિર્ણય લેતા સમયે હાજરી પણ હતી.

(૫) સ્કુલનું નવું મકાન આશરે  ત્રણ કરોડ અને ૭૦ લાખ રૂપીયા મહેમદાવાદ નગરપાલીકાના સ્વભંડોળમાંથી જોગવાઇ કરીને માનનીય કલેક્ટર સાહેબે બાંધકામ માટે પોતાની સંપુર્ણ દેખરેખ નીચે ખર્ચ્યા છે.

(૬) નવા બિલ્ડીંગનું  નામ જુના બિલ્દીંગ પ્રમાણે શેઠ જે એચ સોનાવાલા હાઇસ્કુલ જ રાખેલ છે. સોનાવાલા શેઠના કુટુંબના જે ફોટાઓ હતા તે બધા જ ફોટાઓ સન્માનીય રીતે નવા બિલ્ડીંગના પ્રવેશદ્રાર નજીકની દિવાલો પર મુકેલ છે.

(૭) સોનાવાલા શેઠના પ્રતિનિધીઓ દ્રારા મહેમદાવાદની સીવીલ કોર્ટમાં જુનું મકાન ન તોડવા માટે મનાઇહુકમની માંગણી કરેલી. જેને બંને પક્ષકારોની રજુઆતો સાંભળીને નામદાર કોર્ટે ના મંજુર કરી છે. તેનો સાદો અર્થ થાય છે કે જુના જોખમકારક જર્જરીત મકાનને ઉતારી લેવાની સત્તા ટ્રસ્ટી તરીકે નગરપાલીકાને છે. જે પ્રમાણે કામ કરવું મહેમદાવાદ નગરપાલીકાની કાયદાકીય અને નૈતીક ફરજ થઇ પડે છે..   

(૮)  નવા બિલ્ડીંગની લોકાર્પણવિધીમાં મુંબઇવાળા સોનાવાલા શેઠના પ્રપૌત્ર માનનીય શ્રી અન્શુમનભાઇ મુકુલભાઇ સોનાવાલા હાજર રહ્યા હતા તેવી નોધં સ્કુલના રેકર્ડમાં છે.

(૯) ટ્રસ્ટડીડની કલમ૨૩ની જોગવાઇ મુજબ ગુજરાત સરકારના શિક્ષણખાતાના માન્ય અભ્યાસક્રમ અને પરવાનગીથી મળેલ ફરજો પ્રમાણે જ સદર સ્કુલનો વહીવટ સોનાવાલા હાઇસ્કુલ બોર્ડ ઓફ મેનેજમેંટ ( મહેમદાવાદ નગરપાલીકા–ટ્રસ્ટી) દ્રારા કરવો ફરજીયાત છે.જે છેલ્લા આઠ દાયકાથી ચાલતો આવેલો છે. તેથી વોટસઅપ પત્રીકામાં જણાવેલ ' માનવ ચેતના ટ્રસ્ટ' જેવી ખાનગી સંસ્થા સાથે  આ પત્રીકાના લખનારાઓએ જુના મકાનનો ઉપયોગ કરીને કરેલા સોદામાં ગામના બાળકો અને વાલીઓના શૈક્ષણીક કલ્યાણની વાત કરતાં  પોતાના કલ્યાણની મહેક વધારે આવે છે. આપણા ગામમાં નીજી ધંધા તરીકે ચાલુ શૈક્ષણીક સંસ્થઓની સંખ્યા આશરે ૨૨થી વધારે છે.

(૧૦) અમને વીશ્વાસ છે કે પત્રીકામાં વાપરેલી ભાષામાં ગામના નાગરીકો માટે  જે લાગણીસભર શબ્દો વાપરવામાં આવ્યા છે તેનાથી સાવધાન અને જાગૃત બની જો. તે તેમની બૌધ્ધીક કે શૈક્ષણીક લાયકાત કે ક્ષમતા બતાવે છે. નહી તો શા માટે આ બહાદુરોએ પોતાના નામો છુપાવ્યા છે. પ્રજા હિતમાં કામ કરનારાઓએ જે કામો કરેલ છે તેમાં છુપાવવાનો શો અર્થ?

મારે હેતુ આ પ્રશ્નમાં ગામના નાગરીકોને જાગૃત કરવા સિવાયનો કોઇ નથી.

 


--

mIlord, માનનીય ન્યાયાધીશ સાહેબો,


મી લોર્ડ, સાવધાન!

દેશની સર્વોચ્ચ અદાલતના તાજેતરના વલણથી  આજના ટાઇમ્સ ઓફ ઇંડીયાએ પોતાના તંત્રી લેખમાં ગંભીર ચીંતા વ્યક્ત કરી છે. તેમજ ચેતવણી આપતાં નમ્રપણે જણાવ્યું છે કે  ' માનનીય ન્યાયાધીશ સાહેબો ,(  Caution, Milords) તમે દેશના બીનસાંપ્રદાયીક પોત સાથે  આગની માફક ખેલી રહ્યા છો!.

(૧) સને ૧૯૯૧માં દેશની સંસદે કાયદો (  The places of Worship ( Special Provisions Act ) પસાર કરેલો છે કે હવે પછી  ફક્ત ' રામમંદિર બાબરી મસ્જીદ અયોધ્યા વિવાદ' સિવાય  દેશના તમામ ધાર્મીક સ્થળોની સ્થિતી સને ૧૯૪૭ને ૧૫ મી ઓગસ્ટે જે સ્થળ –સ્થિતી હશે તે પ્રમાણે તેનું ધાર્મીક લક્ષણ ( રીલીજીયસ કેરેક્ટર) ચાલુ રહેશે. તે અંગે દેશની કોઇ અદાલતમાં કોઇ વિવાદ ચાલશે નહી.  

(૨) મિ. લોર્ડ, આપની સદર કોર્ટેની બેન્ચે, સને ૨૦૧૯માં ' રામમંદિર– બાબરી મસ્જીદ વિવાદ અંગે ઐતીહાસીક ચુકાદો આપતાં લખેલું છે  કે ' સને ૧૯૯૧ના સંસદના કાયદાના ગુણગાના ગાતા પોતાની જાત સહિત, દેશની તમામ સરકારો અને દરેક નાગરીકને જણાવ્યું છે કે સદર કાયદો દરેકને બંધન કર્તા રહેશે! (  The Act  won high praise from the SC Bench that awarded  the disputed land to Hindus, noting that  it " addresses itself  to the state as much as to the every citizen" and that it norms " binds those who govern the affairs of the nation at every level.")

(૩) આ મુદ્દે કાયદાની ભાષામાં જે ને ' સેટલ્ડ લો' કહેવાય તેવી કાયદાકીય સ્થિતી છે. તેમ છતાં દેશની સર્વોચ્ચ અદાલતે સને ૧૯૯૧ના કાયદાનું જેને ઉપર જણાવેલ ચુકાદામાં પોતે વખાણેલો ( પ્રેઇઝ કરેલું) તે સંદર્ભમાં જાહેર હિતની અરજી (પી આઇ એલ) પોતાની સમક્ષ આવતાં નવેસરથી તપાસ કરવાનું નક્કી કર્યું છે. જે વિવાદમાં કોઇ બંધારણીય મુલ્યાંકનનો અથવા ન્યાયપાત્ર ઇન્સાફી તપાસ (  No  constitutional or justifiable issues at stake)નું કાયદાકીય અસ્તીત્વ જ  ન હોય તેવી અરજીને પ્રથમદર્શીય હકીકત જોતાં ખુબજ ગુસ્સે થઇને  દંડ સાથે કાઢી નાંખવાને બદલે તે કાયદાની હવે કાયદેસરતાનું મુલ્યાંકન કરવાનું નક્કી કર્યુ છે.

(૪) કેમ? કારણકે  દેશના કેટલાક હિંદુઉગ્રવાદી ધાર્મીક પરીબળોને ' હવે કાશી– મથુરાના મંદિર– મસ્જીદ વિવાદ' ને હવે ઇધન પુરુપાડવું છે. સને ૧૯૯૧ના કાયદામાં  દેશના સ્વતંત્ર દિવસ ૧૫મી ઓગસ્ટની જે ભાગલા પાડતી તારીખ( કટ ઓફ ડેટ) નક્કી કરી છે તે આ જાહેર હિતની અરજી કરનારને મનસ્વી, અતાર્કીક  અને પશ્ચાતવર્તી ( Arbitrary, irrational,& retrospective) લાગે છે. સદીઓ પહેલાં જે જંગલી ધર્મઝનુની પરદેશી આક્રમણખોરોએ  હીંદુઓના આસ્થા અને પુજાના સ્થળોનો કબજો જમાવી લીધો છે તેને  ચલવી લેવાય નહી! અમારે પ્રાચીન ઐતીહાસીક સત્યને હવે કાયમ માટે બદલી નાંખવું છે.

(૫)  ખરેખર તો પ્રથમદર્શીય હકીકત જોતાં સદર જાહેર હિતની અરજીને તે મનસ્વી, ગેરકાયદેસર અને ગેરબંધારણીય હોવાથી તરતજ રદબાતલ કરવાની જરૂરત હતી. કારણકે  આપણો દેશ સને ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ખરેખર એક આધુનીક ધર્મનીરપેક્ષ કે બીનસાંપ્રદાયીક રાષ્ટ્ર બનવા અસ્તીત્વમાં આવેલો છે. એ હકીકત છે કે ભારતના પ્રાચીન અને મધ્યયુગી ઇતીહાસમાં ખુબજ જંગલી અને ધાર્મીક પવીત્રતાનું ખંડન કરતી પ્રવૃત્તીઓ પરદેશી આક્રમણખોરોએ કરેલી હતી. સમયની વેદી પર બલી બનેલા ભુતકાલીન સત્યોને આધુનીક પ્રજાસત્તાક દ્રારા પશ્ચાતવર્તી કેટલીય સદીઓ પછી તે કાર્યોને ન્યાયીક મુલ્યાંકન ન થઇ શકે ! આધુનીક ભારત સને ૧૧૯૨ના કાર્યોનું બંધારણીય મુલ્યાંકન કરી શકે નહી. તે અસંભવીત અને અશક્ય છે. ભારતનું પ્રજાસત્તાક દેશના નાગરીકોનું ભવીષ્ય (ભાવી) ઘડવા માટે અસ્તીત્વ આવેલું છે. ભુતકાળની ભુલો શોધવાની કસરતમાં રચ્યાપચ્યા રહેવાથી કોઇ દેશ પોતાને મજબુત રાષ્ટ્ર બનાવી શક્યો નથી. ખરેખરતો મરેલા ભુતકાળનું આધુનીક જ્ઞાનવિજ્ઞાનના સાધનોથી ચીરફાડ ( ડીસેક્શન) કરીને આપણી ભુતકાળની નબળાઇઓના વૈજ્ઞાનીક સત્યો લાગણીવહીન ( રેશનલ) બનીને, મુલ્યાંકન કરવાની જરૂર છે. મૃતપાય થઇ ગયેલા ભુતકાળને પંપાળ્યા કરવાથી કે રાખી મુકી, ગુણગાન ગાવાથી વર્તમાન ભારત કોઇ પ્રશ્નો ઉકેલાવાને બદલે ગુંચવાશે. દંભી રાષ્ટ્રપ્રેમના ગુમાનમાંથી મુક્ત બનવાની જરૂર છે.

(૬) છેલ્લા ૨૫૦૦ વર્ષ કરતાં વધારે સમયથી દેશના નાગરીકોને ધાર્મીક આધ્યાત્મીક અફીણના સેવનથી શું ફાયદા થયા છે તેની કોને ખબર નથી. નાગરીકોને હવે મૃત્યુ પછીના જીવનને બદલે જીવતે જીવ આ જન્મમાં જ ભૌતીક વીકાસ જોઇએ છીએ. અલા! રાજ્ય કર્તાઓ તમે અમને પાયોના માનવીય વિકાસની સગવડો તો પુરી પાડો!

(૭) સને ૧૯૪૭ના દિવસે ભારતના તમામ નાગરીકો એક બની ગયા છે. તેમની વચ્ચે તમારા રાજ્યકર્તોથી કેવી રીતે તફાવત પાડીને વહેરો વાંતરો કે ભાગલા પાડીને  નફરતનું વાતવરણ પેદા કરાય! મારા સાહેબો ! સને ૧૯૯૧માં સંસદે પસાર કરેલા કાયદાનું આ હાર્દ છે.  ' મી, લોર્ડ, આ જાહેર હિતની અરજી આપ સૌ એ કેવી રીતે મુલ્યાંકન માટે લીધી. ગોરીસરકારની હકુમતમાંથી મુક્તબનીને  આપણે સૌ એ નાગરીકો તરીકે એક થઇને સંસ્થાનવાદે પેદા કરેલા ભુતકાળમાંથી બહાર નીકળીને બંધારણે આમેજ કરેલી બંધારણીય નૈતીકતા અને બંધારણીય રાષ્ટ્રવાદ(Constitutional Morality & Constitutional Nationalism) ના પાયાપર જ આધુનીક ભારત બનાવવાનું છે. ધાર્મીક નૈતીક્તા અને ધાર્મીક ઉગ્રરાષ્ટ્રવાદના ઉન્માદ પર નહી.

(૮) આખરી મી લોર્ડ, તમે ૧૯૯૧ના સેટલ્ડ થઇ ગયેલા કાયદાને રદબાતલ કરીને એક એવી ' પંડોરા બોક્ષ' ન ખોલશો જેમાંથી દેશ ફરી પાછો ધાર્મીક અરજાકતામાં ગરકાઇ જાય., ડુબી જાય!  

ભુતપુર્વ અમેરીકન રાષ્ટ્રપ્રમુખ જોન એફ કેનેડીનું સદાબહાર વાક્ય છે.– " Let us not seek to fix the blame for  the past, Let us accept our own responsibility for the future."

( સૌ. ટા.ઇ. ઓફ ઇં ૧૫–૦૩–૨૧નો તંત્રી લેખનો ભાવાનુવાદ)

--