બૌધ્ધ ધમ્માનું મુલ્યાંકન –બાબા સાહેબ આંબેડકરની દ્રષ્ટીએ. ભાગ–૩
ચિલાચાલુ ધર્મો અને બુધ્ધના ધમ્મમાં પાયાના તફાવતો કયા કયા છે?
(અ) ચમત્કારોમાં વિશ્વાસ કરવો અધર્મ છે. (બ)ઇશ્વરમાં શ્રધ્ધા રાખવી તે ધર્મ નથી. (ક) આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ રાખવો તે પણ ધર્મ નથી. (ડ) વેદોનું સર્જન પણ ઇશ્વરી નથી.તે દરેક ધર્મને તેના આસ્થાઓના મુળભુત પાયાને જ જમીનમાંથી હચમચાવી નાંખવા જેવી તાર્કિક બીના છે. હવે જો ધર્મમાંથી ઇશ્વર,આત્મા અને વેદોની સત્તાને એકજ ઝાટકેથી બાદબાકી કરી નાંખવામાં આવે તો પછી સદર ધર્મમાં બાકી શું રહે? કર્મકાંડ અને યજ્ઞમાં વિશ્વાસ કરવો પણ અધર્મ છે.ધર્મગ્રંથોને સમજ્યા વિના પોપટની માફક રટણ કરવું તે પણ અધમ્મ છે. સત્ય કર્મકાંડ નથી પણ નિરિક્ષણ,તર્ક અને શાણપણ દ્વારા કરેલો નિર્ણય એ સત્ય છે. તથાગત બુધ્ધ પહેલાંનો, છેલ્લા આશરે એક હજાર વર્ષથી ચિલાચાલુ જે ધર્મ હતો તે આ હતો જેનું બીજું નામ બ્રાહ્મણવાદ હતો. ટુંકમાં બોધ્ધ ધમ્મ તે કોઇ ટીલાટપકાં, જપતપ વિ . જેવા બાહ્ય આડંબરો દ્રારા થતો દેખાડો તે નથી. પણ સુઝબુઝથી લેવાતો નિર્ણય તે ધમ્મ છે.
(૨) જીવનની સુચિતા બનાવી રાખવી તે ધમ્મ છે. સુચિતાનો અર્થ શરીરનો દેખાડો કરીને બતાવવામાં આવે તે ધર્મ નથી.પણ મન વચન, કર્મથી કાર્ય કરવાની સંવાદિતામાં ધર્મ સમાયેલો છે. સામાવાળાને નુકશાન કરવા વિચારો અને વર્તન કરવું તે ધમ્મ નથી. નૈતિકતાનો પાયો વ્યવહારીક રોજબરોજના જીવનને સમૃધ્ધ બનાવવામાં છે.તૃષ્ણાનો ત્યાગ તે ધર્મ છે. નિર્વાણ કોઇ સ્વર્ગ કે પરલોકના ખ્યાલનો બુધ્ધે સુચવેલો વિકલ્પ હરગીજ ન હતો. નિર્વાણ એ તૃષ્ણા અને દુ:ખમાંથી મુક્તિ પામવી તેવી માનસિક અવસ્થા છે. જેને આ જીવનમાંજ અહીયાં પ્રાપ્ત થઇ શકે તેવી બૌધ્ધીક અવસ્થા છે. કોઇપણ કર્મનો આધાર નિરિક્ષણ, તર્ક અને શાણપણ આધારિત નિર્ણય છે. તેનો હેતુ તેવા કર્મો દ્રારા કરુણા અને સમતાના ધ્યેયને સિધ્ધ કરવાનો જ હોવો જોઇએ. સમગ્ર બ્રહ્માંડ જેમાં માનવી પણ એક ભાગ છે તે કુદરતી નિયમબધ્ધતા કે નૈતીકતાનો એક ભાગ છે. તે લૌકીક છે. તેનું સંચાલન કુદરતી પરિબળોની નિયમબધ્ધતામાં નિહિત છે.(જેવો ગુરુત્વાકર્ષણનો નિયમ!)ઇશ્વર જેવા બાહ્ય પરિબળમાં નહી.
(૩) બુધ્ધે ઉપરની ચર્ચા આધારીત પોતાના કર્મના સિધ્ધાંતને સમજવા માટે બે ભાગમાં વહેંચણી કરી છે. એક ધમ્મ અને બીજો સધમ્મ જે આ નિજી ધમ્મનું એક વિસ્તૃત સામાજીક એકમ છે.ધમ્મ એક વ્યક્તિગત નૈતીક્તા પર આધારિત છે. જ્યારે સધમ્મ તે નૈતિકતાનો સામાજીક અમલ અને ઉપયોગ છે. સધમ્મ સમાજમાં તમામ લોકો માટે પ્રજ્ઞાનો ઉપયોગ જ્ઞાન અને વિવેકનો નિરંતર વિકાસ થતો રહે તેવી સામુહિક વ્યવસ્થાના સર્જનમાં રહેલો છે.
(૪) વેદિક સમયથી જ્ઞાન તે ચતુર્વર્ણવ્યવસ્થામાં ફક્ત બ્રાહ્મણવર્ગનો જન્મ આધારિત ઇજારો હતો. તેને સામાજીક સધમ્મના ખ્યાલે વાસ્તવિક બનાવી તોડી નાંખ્યો. બુધ્ધના કરુણાના ખ્યાલને બાબાસાહેબ આંબેડકરે તેમની અમોઘ તાર્કીક વેધક દ્રષ્ટીથી બે ભાગ કરીને સમજાવી છે. કરુણાનો ખ્યાલ વ્યક્તિગત કર્મ છે. જેમાં જેની પાસે છે (વૈદિક યુગમાં) તે ઉચ્ચવર્ગ,જેની નીચલા વર્ગ પાસે નથી તેને કરુણા–દયાના ભાવથી મદદ કરે છે. કરુણાના ખ્યાલમાં અસમાનતાની ભાવના ઘરબાયેલી હોય છે. તે પ્રછન્ન છે. જેને બ્રાહ્મણ ધર્મે વૈદીક યુગમાં બહુ ગુણગાન ગાયાં હતાં. જ્યારે સમતા એટલે સામાજીક મૈત્રી. મૈત્રી ભાવમાં બે માંથી કોઇ પાત્ર ઉચું નથી કે નીચું નથી. ( દા.ત– સુદામા–કૃષ્ણની મૈત્રી). આવી સમતામાં બરોબરીનો ભાવ હોય છે. અને તે રીતે ધમ્મને અરસપરસની નિસ્વાર્થી સમજ અને વર્તનથી વિકસાવવામાં આવેલો છે.આમ બુધ્ધનો ધમ્મ દયા (કરુણા) આધારીત સમાજ નહી પણ બરાબરીપણું , સમતા, સમાનતા, ભ્રાત્તૃભાવ આધારીત માનવીય નૈતીક્તા,પ્રજ્ઞા અને તર્કની ઇંટો પર બનેલો સમાજ હશે.
(૫) બુધ્ધના સધમ્મનો બીજો હેતુ હતો કે વેદીક સમયથી ચીલાચાલુ અસમાન ચાતુર્વર્ણવ્યવસ્થાની સંપુર્ણ બાદબાકી, સર્વનાશ( Complete Annihilation of Caste & Class- Social unequal division) છે..કોઇ વ્યક્તિ જન્મથી મહાન(ઉંચ) કે નીચ હોતો નથી. પણ પોતાના અરસપરસના વહેવારમાં કરેલા કર્મોને આધારે તે વ્યક્તિ ઉમદા છે કે નહી તે નક્કી થાય છે. બુધ્ધ ધમ્મને એક ન્યાયપુર્ણ સમતાવાદી સમાજનું સર્જન કરવાની પાયાની ઇંટ ગણે છે. વ્યકતિગત ધમ્મ સમાજમાં સમતાનું સર્જન કરવા પુરતો નથી.પણ તે સમતાવાદી સમાજના પુન:નિર્માણમાં ચોક્ક્સ મદદરુપ બની શકે!
(૬) ધર્મ અને ધમ્મ વચ્ચે તફાવત શું છે? ધર્મ માનવીને મૃત્યુ બાદ મોક્ષ, જન્ન્ત, મુક્તિ( Salvation) વિ. માટે વર્તમાન જીવન કેવી રીતે પસાર કરવું તે શીખવાડે છે. બુધ્ધે આ વાત પોતાના સાથીઓને સંઘમાં અને અનેક ચર્ચામાં કરી છે. ‘ હું કોણ છું? ક્યાંથી આવ્યો છું, મૃત્યુ કયાં પછી જવાનો છું? શરીરમાં આત્મા છે ક નહી? સ્વર્ગ–નર્ક, જન્ન્ત– દોજખ વિ. અંગે તમારો શું મત છે? બુધ્ધે સ્પષ્ટ કહી દીધું હતું કે મારુ મિશન પૃથ્વી પરના માનવીય દુ:ખો દુર કરવાના કારણો અને તેના ઉપાયો શોધવામાં રસ છે. મૃત્યુ પછીના પ્રશ્નો ઉકેલવામાં નહી.માનવ સહિત તમામ કુદરતી પરિબળો સતત પરિવર્તનશીલ છે. સ્થાયી કશુ નથી. જે જન્મે છે તે મૃત્યુ પામવાનું છે. આત્મા હોય તો તે પણ નાશવંત છે. બુધ્ધનો ધમ્મ માનવીય સમસ્યાઓના ઉકેલ માટે હતો. મૃત્યુ પછીની કોઇ વ્યવસ્થાનું સર્જન કરવાનો ન હતો. તત્વજ્ઞાનનો હેતુ મૃત્યુ પછીના પ્રશ્નો ઉકેલવાનો નથી પણ દુન્યવી સમસ્યાઓના ઉકેલ માટેનો જ હોવો જોઇએ.બુધ્ધ અને બાબાસાહેબનો ધર્મ ઇશ્વરને બદલે ઇન્સાનીયત પર અને કર્મકાંડને બદલે માનવીય નૈતિકતા પર આધારિત હતો. ધર્મનો હેતુ વ્યક્તિગત મોક્ષને બદલે સામાજીક કલ્યાણ માટે બની ગયો હતો! બાબાસાહેબનો પડકાર– ઇશ્વરીય સત્તા, અંધવિશ્વાસ અને જન્મ આધારીત અસમાનતાના આધાર પર ટકી રહેલી બ્રાહ્મણવાદી વ્યવસ્થા સામે હતો.
(૭) ચર્ચાનો છેલ્લો પણ સૌથી મહત્વનો સવાલ–બુધ્ધના મુખ્ય શિષ્ય આનંદનો પ્રશ્ન– આપના દેહાંત પછી આપનો ઉત્રાધિકારી કોણ? સંઘનું માર્ગદર્શન કોણ કરશે? કોઇપણ આંદોલન, ચળવળ કે સંસ્થા માટે ખુબજ અગત્યનો સવાલ હોય છે કોણ નેતૃત્વ સંભાળશે? બુધ્ધ કોઇને પણ પોતાના ઉત્રાધિકારી બનાવવાનું સ્પષ્ટ ના કહી દે છે. કોઇ વ્યક્તિ ને બદલે વિચારને મહત્વ આપજો. બાબાસાહેબ આંબેડકરનું તારણ હતું કે બુધ્ધ મોક્ષ દાતા ન હતા. પણ માર્ગ દાતા હતા. જ્યારે લગભગ બધા જ ધર્મો ઇશ્વર કે પયગંબરને પોતાના તારણહાર તરીકે માને છે,ઉધ્ધારક ગણે છે. જ્યારે બુધ્ધ પોતાના તમામ અનુયાઇઓને આત્મનિર્ભર બનવાનું કહે છે.“ આત્મ દિપો ભવ:” બુધ્ધે ક્યારેય એવો દાવો કર્યો ન હતો કે પોતાનો જે તે અનુયાઇને મોક્ષ અપાવશે. તેઓએ દરેકને મુક્તિનો માર્ગ બતાવ્યો. પણ તે માર્ગ પ્રાપ્ત કરવા માટે ચાલવું તો પોતે જ પડશે. કોઇ વ્યક્તિની પુજા નહી પણ તેના વિચારોનું પરિક્ષણ, મુલ્યાંકન કરીને પોતાનો માર્ગ શોધવાનો છે! શું નેતા વિહીન લશ્કર તિતરભિતર ના થઇ જાય? પણ બાબાસાહેબના મત મુજબ આ મુદ્દે બુધ્ધ વ્યક્તિ પુજાની બિલકુલ વિરુધ્ધ હતા. જો ખરેખર વિચાર પોતે જ ગુુરુ હોય તો, તે વિચારને તર્ક,અનુભવ (ઇન્દ્રીયજન્ય નિરિક્ષણ) અને પ્રજ્ઞાની મદદથી તેનું મુલ્યાંકન કરીને, નિર્ણય કરીને અમલમાં મુકી શકાય! કોઇપણ ગુરુનું આંધળુ અનુકરણ કરીને સત્ય શોધી શકાય નહી.
(૮) બાબાસાહેબ માટે આ વિચાર ફક્ત આધ્યાત્મિક મુક્તિનો માર્ગ ન હતો પણ રાજકીય મુક્તિનો માર્ગ હતો. આપણે કોઇ ગુરુ, શાસ્ર કે પુજારીના ખોળામાં માથું મુકીને નિરાંતે સુઇ જવાનું નથી. ન્યોચ્છાવર થઇ જવાનું નથી! તેના ગુલામ તો ક્યારે બનવાનું નથી. દરેકે પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ બનવાનું છે. કોઇનું ભાગ્ય પુર્વનિર્ણિત હોતું નથી. આવો વિચાર અને તેના આધારિત તારણ જ ગુરુ છે. સધ્ધમનો અસલી સાર શું છે? બુધ્ધનો સધ્ધમ ત્રણ મજબુત સ્તંભો પર ઉભો છે. પ્રજ્ઞા, કરુણા અને સમતા. પ્રજ્ઞા એટલે તર્કપુર્ણ ચિંતન, સોચ. કોઇપણ વિચાર , ઘટના કે પ્રસંગને આંખબંધ કર સ્વીકારવાને બદલે તેના દરેક પાસથી મુલ્યાંકન કરવું. કરુણા એટલે દયા નહી પણ સક્રીય મૈત્રી છે. સમતા એટલે ‘ વિશ્વના તમામ માનવો એક છે. કોઇપણ માનવી પૈસા, જાતિ, રંગ, જન્મ રાષ્ટ્ર કે સત્તા વિગેરેને કારણે ઉંચો કે નીચો ક્યારેય હોઇ શકે નહી. અધમ્મ એટલે ઇશ્વરમાં વિશ્વાસ.આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ.યજ્ઞ, બલિ અને ચમત્કારોમાં વિશ્વાસ રાખવો. કોઇપણ ધર્મ કે તેના ગ્રંથને અંતિમ સત્ય માનીને તેને આધારે જીવન સમર્પિત કરી દેવું. જન્મ પર આધારિત સામાજીક ભેદભાવને સ્વીકારવો. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ચતુર્વર્ણવ્યવસ્થા આધારીત સમાજના માળખાને બિનશરતી સ્વીકાર. બાબાસાહેબ બૌધ્ધ ધર્મને એક સામાજીક અને નૈતિક દર્શન રુપે રજુ કરે છે અને તે પ્રમાણે અમલ કરવા પ્રતિબધ્ધ હતા.ધર્મનો ઉદ્દેશ સ્વર્ગ, નર્ક,મોક્ષ વિ. ની ચિંતા કરવા નથી. ધર્મ માનવ દુ:ખોના નિવારણ માટે છે. મોટાભાગના દુ:ખોનું કારણ સામાજીક અન્યાય અને અસમાનતા છે. જે બંને માનવસર્જીત છે. મનુષ્ય તરીકે મારામાં અને બીજામાં લેશ માત્ર કોઇ તફાવત નથી. માનવ માત્ર સમાન છે તે એક ક્રાંતિકારી ઘોષણા છે.બૌધ્ધ ધર્મ એ છે જે ઇન્સાન ને ઇન્સાન સાથે જોડે છે. માનવ માનવ વચ્ચે જન્મ કે અન્ય સામાજીક કહેવાતા માપદંડોથી વિભાજન કે ભાગલા પાડતો નથી.બુધ્ધ એક ભારત અને વિશ્વના ભૌતીકવાદી, તર્કવાદી અને માનવકેન્દ્રીત વિચાારક હતા. તર્ક અને વિજ્ઞાનની કસોટી પર ૧૦૦ ટકા પાર ઉતરે તેવો આ ધર્મ છે.
–––––––––––––––––––––––––––––––––––xxxxxxxxxxxxxxx—--------------------------------------