Wednesday, November 9, 2016

લોકશાહીની ચોથી જાગીર છે– જર્નાલીઝમ. રામનાથ ગોયેન્કા.


લોકશાહીની ચોથી જાગીર છે–  જર્નાલીઝમ. રામનાથ ગોયેન્કા.

પત્રકારીત્વના વ્યવસાયમાં મુખ્ય કામ હોય છે સવાલ પુછવાના.સવાલ કોને પુછી શકાય? જે સત્તાની ખુરશી પર બેઠા છે તેને સવાલ પુછી શકાય.  માટે જ લોકતંત્રમાં પત્રકાર અને સરકારની વચ્ચે કયારેય સારા કે સુમેળ ભર્યા સંબંધો ન હોઇ શકે. બંને વચ્ચે જેટલો ' તું તું મેંમેં' નો સંબંધ એટલું દેશ માટે સારુ. પત્રકારીત્વનો ધંધો એવો છે કે જેમાં તેના સંબંધો રાજકીય પક્ષો જોડે સંપુર્ણ નીરપેક્ષ અને સત્તાની સામેના જ હોવા જોઇએ. સરકાર જ્યારે પોતાની મેળેજ પોતાની  પીઠ ઠાબળતી હોય ત્યારે જર્નાલીસ્ટોએ સરકારના કાન આમળવાના હોય છે.

નવી દીલ્હીમાં બીજી નવેંબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામનાથ ગોયેન્કા પત્રકાર પુરસ્કારની વહેંચણી કરવામાં આવી. જે પત્રકારો બીજેપી વીરુધ્ધ સતત રીપોર્ટીગ કરતા હતા તે બધાને પણ મોદીએ એવોર્ડ આપવા પડયા! તેમાંના એક લેખક અક્ષય મુકુલે મોદીના હાથે એવોર્ડ લેવાની ના પાડી.

 આ કાર્યક્રમમાં વડાપ્રધાનના પ્રવચન પછી આભારવીધી કરવા આવેલા ધી ઇન્ડીયન એકપ્રેસના એડીટર રાજકમલ ઝા ના વીચારો નીચે પ્રમાણે હતા. શ્રી ઝા સાહેબે આ કાર્યક્રમના બાયકોટને બદલે સંવાદનો રસ્તો પસંદ કર્યો.

 બહુત બહુત શુક્રીયા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જી. આપકી સ્પીચ કે બાદ હમ સ્પીચલેસ હૈ. લેકીન મુઝે આભાર કે સાથ કુછ બાતે કહની હૈ.

આજે અમારા પત્રકાર જગતમાં  ' સેલ્ફી પત્રકાર'ની સંખ્યા વધી ગઇ છે. જે પોતે ખુશ થાય અને બીજાને ખુશ કરે તેવું પત્રકારત્વ કરવામાં આનંદ અનુભવે છે. તે બધાને ઓળખવા સરળ હોય છે. જે બધા પોતાના ચહેરાના જ 'પ્રેમ' માં પડેલા હોય છે. ફોટો પડાવતા સમયે ખાસ ધ્યાન રાખે છે. કેમરો પોતાના મોંઢાની સામે જ રહેવો જોઇએ. તેઓ પોતાના ચહેરા અને પોતાના અવાજના જ પ્રેમ માં પડયા હોય છે. બીજું બધું તેમને મન બકવાસ હોય છે. આ સેલ્ફી પત્રકારીતામાં તમારી પાસે આધારભુત માહીતી નહી હોય તો ચાલશે, ફોટો ફ્રેમમાં એક ઝંડો લગાવી દેવાનો અને પછી બાજુમાં ઉભા રહી જવાનું.

માનનીય પ્રધાનમંત્રીશ્રી, તમે પત્રકારત્વના ક્ષેત્રમાં વીશ્વાસનીયતાની વાત કરી જે અમે તમારા પ્રવચનમાંથી શીખીશું. પણ તમે પત્રકારોની બાબતમાં જે સારી સારી વાતો કરી તેનાથી અમે નર્વસ થઇ ગયા છે. કારણકે, હવે જે વાત કરું છું તે આપશ્રીને વીકીપીડીયામાં નહી મળે.પણ તે વાત હું તમને ઇન્ડીયન એકપ્રેસના એડીટર તરીકેની હૈસીયતથી જવાબદારી સાથે કહું છું " જયારે રામનાથ ગોયેન્કાને એક રાજ્યના મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે તમારો રીપોર્ટર ખુબ સારૂ કામ કરે છે ત્યારે તે સાંભળી ને ગોયેન્કાએ તે રીપોર્ટરને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. "

 આ સમયે અમારી પાસે એવોર્ડ માટેની હરીફાઇમાં ૫૬૨ અરજીઓ આવી હતી. જે છેલ્લાં ૧૧ વર્ષોમાં સૌથી વધારે હતી. આ તે લોકો માટે પુરતો જવાબ આપે છે કે  જે એમ દલીલ કરે છે કે ' સારી પત્રકારીતા દેશમાં મરી રહી છે અને પત્રકારોને સરકારે ખરીદી લીધા છે. દેશમાં સારૂ પત્રકારત્વ મરી રહ્યું નથી. પણ વધારે સારી ગુણવત્તાવાળુ બની રહ્યુ છે. એ હકીકત સાચી છે કે ખરાબ પત્રકારત્વ હાલમાં ખુબજ ઘંઘાટ મચાવી રહ્યું છે જે પહેલાંનાપાંચ વર્ષમાં ક્યારેય જોવા મળતું ન હતું.

--