Saturday, January 20, 2018

રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારા– એમ એન રોય.

રાષ્ટ્રવાદ એક કાલગ્રસ્ત વીચારધારા– એમ એન રોય.( લેખકે પોતાના પુસ્તક Essence of Royism complied by G. D. Parekh માંઆ લેખના વીચારો વ્યક્ત કર્યો છે. રોય સાહેબે સને ૧૯૧૫થી ૧૯૩૦ સુધી લેનીન–સ્ટાલીનના સોવીયેત રશીયા, જર્મની, ઇટલી, ફ્રાંસ, સ્વીસ વી યુરોપના દેશોમાં સક્રીય ક્રાંતીકારી તરીકે ભાગ ભજવ્યો હતો. જર્મનીના હીટલર અને મુસોલીનીના રાજ્કીય સત્તા વીકાસને ખુબજ નજીકથી અનુભવેલો હતો. તેમના રાષ્ટ્રવાદ અંગેના બૌધ્ધીક નીચોડમાંથી સદર લેખ તૈયાર કરવામાં આવેલ છે. રોય સાહેબના પત્ની એલન રોય મુળ જર્મન હતા.)

સમાજ વ્યવસ્થાની વધુ ઉચ્ચતર, વધુ ઉમદા અને વધુ ન્યાયી અવસ્થા માટે સ્થાન ખાલી કરવા, આગળ પ્રગતીની તમામ શક્યતાઓનાં બારણાં પુરેપુરા બંધ થઇ જવાથી, કોઇ સમાજ વ્યવસ્થા પડી ભાંગવાની અણી પર હોય ત્યારે  જુના વ્યવસાયથી જેમને ખરેખર લાભ થયો હોય તે બધા નવી વ્યવસ્થાથી ભયભીત થઇ જાય છે. અને જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા તત્પર બને તે સ્વાભાવીક હોય છે. જુની વ્યવસ્થાનું રક્ષણ કરવા ખાતર, નવી વ્યવસ્થાનું નીર્માણ કરનાર પરીબળો ચોક્કસ અને નક્કર આકાર ધારણ કરે તે પહેલાં તેમને રોકવા જરૂરી બને છે. જુની વ્યવસ્થાના સમર્થકો અને નવી વ્યવસ્થા માટે લડવા તૈયાર થયેલા લડવૈયાઓ વચ્ચે સર્વપ્રકારનો સંઘર્ષ અનીવાર્ય બને છે. આજે વીશ્વ આ બે પ્રકારના સામ સામી હીતોના સંઘર્ષમાં વહેંચાઇ ગયું છે.

ભુતકાળમાંથી પ્રેરણા-

એક સમય હતો, જ્યારે રાષ્ટ્રવાદની એક ઐતીહાસીક જરૂરીયાત હતી.અને તેના જુના ઝંડા હેઠળ માનવ પ્રગતી સધાઇ પણ હતી.સમય જતાં જુદા જુદા રાષ્ટ્રોની આકંક્ષાઓ વચ્ચે સંપુર્ણ સંઘર્ષ ઉભો થયો. અને પોતપોતાની હરીફ આકંક્ષાઓ ને કારણે હરીફ રાષ્ટ્રો વચ્ચે સતત ઝઘડા થવા લાગ્યા.અને તેમાંથી  ઉદ્ભવતાં યુધ્ધોમાં આખું વીશ્વ ગરકાવ થઇ ગયું.

મનુષ્ય જાતીએ પ્રગતી સાધવી હોય તો રાષ્ટ્રીય સીમાડાઓથી ઉપર જ ઉઠવું રહ્યું. અન્ય પર આધીપત્ય ભોગવવા એકબીજા સામે લડવાને બદલે મનુષ્ય જાતીના એક બીજા વીભાગોએ એકબીજાની સાથે આવ્યા વીના છુટકો નથી.

આથી, સામાજીક અને આર્થીક પ્રગતીના પ્રભાવ હેઠળ સંકીર્ણ રાષ્ટ્રવાદ પર આધારીત વ્યવસ્થાને વીદાય થતી અટકાવવા માટે જુની વ્યવસ્થાના સમર્થકોએ મનુષ્ય પ્રગતીને રોકવી એટલું જ પુરતું નથી, પણ તેને પાછળ ધકેલવી, ઘડીયાળના કાંટાને પાછા ફેરવવા બહુજ જરૂરી બને છે. એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રવાદ પાસે અગ્રદ્ર્ષ્ટી હતી.પણ આજે તો રાષ્ટ્રવાદ ભુતકાળમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રવાદ અનીવાર્યપણે પુનરુત્થાનવાદની તરફેણ કરે છે. .. ... આજે રાષ્ટ્રવાદના હીમાયતીઓ માટે એક યા બીજા સ્વરુપે ભુતકાળને ભવ્ય સાબીત કરવો જરૂરી બન્યુ છે.સાથે સાથે તે બધાએ એમ પણ પ્રસ્થાપીત કરવું જ રહ્યું કે છેલ્લાં ૧૦૦– ૨૦૦ વર્ષોની પ્રગતીને કારણે  માનવજાત વીનાશને આરે આવીને ઉભી છે. તેથી છેલ્લાં બસો વર્ષોમાં જે કંઇ સીધ્ધ થયું છે , તે બધુ ઉલટાવી દીધા વીના , તે બધું ફગાવી દીધા વીના તો  છુટકો જ નથી. મનુષ્ય જાતીએ  મધ્યયુગનીએ શાંત, પરમ આનંદદાયી અવસ્થાએ પાછા ફર્યા સીવાય  બીજો કોઇ છુટકો નથી......

સ્વાતંત્રયના ગળે ટુંપો–

રાષ્ટ્રની સાથે ભાવનાત્મક એકતા (અમુર્ત વીભાવના) એ ફાસીવાદની લાક્ષણીક ખાસીયત છે.ફાસીવાદ હેઠળ રાષ્ટ્ર અને રાજ્ય બંને એક જ બને છે. તેમની વચ્ચે કોઇ ભેદ પાડવામાં આવતો નથી. તેમાં રાજ્યને એક અમુર્ત શક્તી કે સત્તા ગણવામાં આવે છે. રાષ્ટ્ર જેનું બનેલું છે, તેને રાજ્યના નાગરીકો, જુદા જુદા વર્ગ સમુહો તથા સંસ્થાઓથી કંઇક વીશેષ કંઇક વધુ ચઢીયાતું ગણવામાં આવે છે. આ બધા ઘટકોનું કાર્ય તેમના પોતાના હીતોને ભોગે રાષ્ટ્રની મહાનતામાં વધારવામાં ફાળો આપવાનું છે. રાષ્ટ્રવાદની મુળભુત માન્યતા કે સારત્વ પણ એ જ છે. ભાવનાત્મક, અમુર્ત, દૈવીઅસ્તીત્વ ધરાવતું તે રાજ્ય. તેને સંપુર્ણ સમર્પણ કરવું તેની પુજા કરવી તે રાષ્ટ્રવાદ......

આપણા દેશનો ભારતીય રાષ્ટ્રવાદ સંત– સરમુખ્તયારના જબ્બરજસ્ત પ્રભાવ હેઠળ આવી ગયેલો છે. તે કેવળ કોઇ અકસ્માત નથી. સરમુખત્યારશાહીની મોહીની  ભારતીય રાષ્ટ્રવાદની ચળવળનું  એક આગળ પડતું લક્ષણ પહેલેથી જ રહેલ છે. રાષ્ટ્રવાદી વીચારધારામાં નેતા પ્રત્યેનું આવું વલણ અંતર્ગત  હોવાને કારણે ફાસીવાદના પાયાના સીધ્ધાંતો  તેમજ સુપરમેન  હીટલરની ચમત્કાર કરવાની શક્તી( હાલમાં વડાપ્રધાન મોદીની ચમત્કાર કરવાની શક્તી) દેશના રાષ્ટ્રવાદીઓને અપીલ કરે તેમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. રાષ્ટ્ર રાજ્ય પર અંકુશ ધરાવતી નાની લઘુમતી જેણે સત્તા પચાવી પાડી છે,તે સત્તાનો ઉપયોગ મોટાભાગના લોકોના સ્વાતંત્રયને ગળે ટુપો દેવામાં તદ્દ્ન આપખુદ રીતે અને બીલકુલ નીરંકુશપણે કરે છે. રાષ્ટ્ર હીતોનું રક્ષણ, રાષ્ટ્રના ગૌરવ અને પ્રભાવ વૃધ્ધી, આ બધા ધ્યેયો ખાતર  કોઇપણ સત્તા કે સ્વતંત્રતા વગરની વીશાળ બહુમતી પાસેથી અનંત બલીદાનો માંગવામાં આવે છે. લોકોને ઓપચારીક રીતે  હક્કો આપવામાં આવે છે. પણ વ્યવહારમાં ફરજો અને જવાબદારીઓના બોજા હેઠળ તેમનો(નાગરીક હક્કોનો) ભોગવટો માત્ર નામનો જ રહે છે. દેશના દરેક નાગરીકે આ ફરજો અને જવાબદારીઓ તો રાષ્ટ્રની મહાનતા વધારવા ખાતર કોઇપણ ભોગે બજાવવી જ રહી.ફાસીવાદ અને રાષ્ટ્રવાદ બન્ને માટે આ સીધ્ધાંતો સરખા જ છે.કારણકે  બન્ને મુળે તો એક જ સરખા વીચારોની જુદી જુદી અભીવ્યક્તી છે. એક બાજુ દેશની અંદર પ્રગતીની અસરને પ્રસરતી રોકવામાં આવે છે. તો બીજી બાજુએ રાષ્ટ્રવાદી પુર્વગ્રહને કારણે પ્રગતીના મુક્તીદાયી અસરોને બહારથી આવવા દેવામાં આવતી નથી.આ બધાને કારણે પરીણામ એ આવે છે કે દેશમાંના જે સામાજીક અને સાસ્કૃંતીક પરીબળો છે તે ઉલટાના વધારે મજબુત અને ધ્દ્ઢ બને છે.  

સને ૧૯૧૭માં(બરાબરઆજથી ૧૦૦વર્ષ પહેલાં) રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું કે, " રાષ્ટ્રનો વીચારએ મનુષ્યએ શોધેલી સૌથી શક્તીશાળી ઘેનપ્રદ દવાઓમાંની એક છે.એની પ્રચંડ અસર હેઠળ આખો લોક સૌથી બેશરમ કહેવાય એવા સ્વાર્થની સાધના કરે છે.આખરે તેમાં એવી ભયંકર નૈતીક વીકૃતી આવે છે તેનો ખ્યાલ સુધ્ધાં તે બધાને સહેજ માત્ર આવતો નથી. હકીકતમાં જ્યારે કોઇ તેમનાં આવાં કૃત્યો તરફ ધ્યાન દોરે છે ત્યારે તેઓ ભયાનક રીતે ગુસ્સે થાય છે."

જર્મન તત્વજ્ઞાની ગોઇથેના રાષ્ટ્રવાદ અંગેના વીચારો " રાષ્ટ્રીય દુશ્મનાવટ કેવી વીચીત્ર બાબત છે! સભ્યતાની સૌથી નીમ્નકક્ષાએ તે હંમેશાં સૌથી પ્રબળ અને સૌથી ઘાતક હોય છે." ( સૌજન્ય–પુસ્તક રોય વીચાર દોહન–અનુવાદક પ્રો. દીનેશ શુક્લ અનેપ્રો. જયંતી પટેલ.ના કેટલાક અગત્યના અવતરણો.)

 


--



Sent with Mailtrack