Thursday, May 27, 2021

કોરોનામહામારીને જ્યોતીષ ને શું સંબંધ–

કોરોના મહામારીને જ્યોતીષ ને શું સંબંધ–

દિવ્ય ભાસ્કર અમદાવાદ ફ્રંટ પેજ સમાચાર–  કોરોનાકાળમાં જ્યોતીષીઓને રોજની ૪૦ થી ૫૦ ઇન્કાવાયરી મળે છે. આવક પણ મહિને ૧૫૦૦૦/ થી વધીને ૩૦૦૦૦/ થઇ. નાગરીકોએ ઓનલાઇન કુંડળી માર્ગદર્શનમાં નોકરી,લગ્ન, વેપાર–ધંધા અંગે પ્રશ્નો પુછયા! ( સૌ. પાનું ૨ દી. ભાસ્કર તા. ૨૭–૦૫– ૨૧.)

" કોરોના વાયરસની વ્યાપક અસરોને કારણે જ્યારે આર્થીકપ્રવૃત્તીઓ ઠબ થઇ ગઇ છે, લાખો નહી પણ કરોડો લોકો બેરોજગાર બન્યા છે. બજારમાં ચીજવસ્તુઓનો પુરવઠો પુરતો છે પણ માંગ નથી. ખરીદનારા જ નથી."

ત્યારે ભાસ્કરના વિશેષ રીપોર્ટ પ્રમાણે " આ કપરા સમયમાં ઓન લાઇન કુંડળી માર્ગદર્શન માટે અનેક જ્યોતીષઓના સંપર્ક કરનારાઓની સંખ્યા વધી ગઇ છે. સામાન્ય નાગરીકોએ જ્યોતીષઓને જે પ્રશ્નો પુછયા હતા તે આ પ્રમાણે હતા. જેના પરથી ખબર પડે છે કે દેશનો નાચરીક કેટલો માનસીક રીતે હતાશ થઇ ગયો છે. (૧)  કોરોના વાયરસ ક્યારે જશે? (૨) અમારા પરિવારમાંથી કોઇનું કે નજીકના સગાવહાલાનું મૃત્યુ તો નહી થાય ને? (૩) મારી કુંપનીની કરકસર ની નીતિને કારણે મારી નોકરી તો નહી જાય ને? ( ૪) સંપુર્ણ લોકડાઉન દુર થઇને સામાન્ય પરિસ્થિતિનું સર્જન ક્યારે થશે?  (૫) શું કોરોના પછી ધંધામાં પહેલા જેવી બરકત જોવા મલશે? (૬) કોરોનાને કારણે જે બધું જોયુ, સાંભળ્યું અનુભવ્યું વિ ને કારણે રાત્રે ડરામણા સ્વપ્નાં આવે છે. ઉંઘમાંથી ઝબકી જવાય છે. માનસીક શાંતી કેવી રીતે મેળવવી?

આપણને ઉપરના પ્રશ્નો વાંચી, સમજીને અત્યંત  દુ;ખની લાગણી અનુભવાય છે. આવી ચિંતા કરનારાઓનો જાણે  હું અને તમે એકભાગ જ હોય તેવો સતત માનસીક અહેસાસ થાય છે.

 ચાલો, હવે! તે બધા પ્રશ્નોને સમજીએ. કોરોના વાયરસે તથા તેની સામેના સંઘર્ષમાં વર્તમાન રાજ્યો અને કેન્દ્ર ના સત્તા તંત્રોએ જે દેશના નાગરીકોના મનમાં જે દેહશત પેદા છેલ્લા દોઢ બે વરસ થી ઉભી કરી છે તેનું આ સીધુ પરીણામ છે. આ બધા પ્રશ્નો માનવ સર્જીત છે. તેમાં કોઇ દૈવી કે ઇશ્વરી પરિબળોનો સીધો કે આડકતરો હાથ ક્યારેય હોઇ શકે નહી. વધારમાં, કોરોનાના જ્યારે વૈશ્વીક મહામારી હોવાથી વીશ્વના બધાજ દેશો તેની વ્યાપક અને ઘાતક અસરોમાંથી બાકાત ન હોય ત્યારે  પેલા હતાશા અને ખાલીપો અનુભવ કરનારા નાગરીકો જ્યોતીષોઓ પાસેથી આવા પ્રશ્નોના ઉકેલને બદલે જે મુઠીફાકો નાણાં આ કટોકટીમાં બચ્યા હશે તે પણ પેલા લોકોને દાન–દક્ષીણામાં આપીને ગુમાવી દેશે.

જ્યોતીષીઓ તમારી વ્યક્તીગત રાશી, કુંડળી, નક્ષત્રોની સ્થિતિ જોઇને તમને શું મદદ કરવાના છે? પેલા અવકાશી ગ્રહો બિચારા લાખો કરોડો વર્ષ પહેલાં સુર્યમાંથી છુટા પડી કુદરતી કે ભૌતીકશાસ્રના નિયમો પ્રમાણે (આપણા માટે સંપુર્ણ હેતુવીહીન) પોતાની ધરી પર અને સુર્યની આસપાસ પ્રદક્ષીણા કર્યા કરતા હોય ત્યારે આ જ્યોતીષીઓ તમારી વર્તમાન કોરોનાથી સર્જન પામેલી માનસીક સ્થિતીઓ કઇ રીતે દુર કરી શકવાના છે?  ખરેખરતો તમારી માનસીક સ્થિતિ તો ક્યારે દુર થશે તે કોરાના પરનું નિયંત્રણ મોટા પાયે કેવી રીતે અને કેટલી ઝડપથી દુર થશે તેના પર આધાર છે. ખરેખરતો તેનો ઉપાય વર્તમાન સરકારોના  આ વિષયને નિયંત્રણમાં લાવવા તેમની માનસીક સ્થિતિ પર વધારે આધાર રાખે છે. આપણે તો જ્યોતીષીઓમાં અંધશ્રધ્ધા રાખીને  " કહી પે નિશાના ઓર કહી પે ગોલી ચલાના" જેવી સ્થિતીમાં છીએ. તેનાથી પરિણામ શું આવશે.. હવામાં ગોળીબારથી વધારે નહી!


--