Friday, June 4, 2021

આપણાદેશના અંધશ્રધ્ધાળુઓ વેકસીન લીધેલાને મારશે કે શું?


આપણા દેશના અંધશ્રધ્ધાળુઓ વેકસીન લીધેલાને મારશે કે શું?

આજના તા.૪થી જુનના દી. ભાસ્કરના પેપરમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાંથી ખુબજ દુ;ખદ અને આઘાતજનક સમાચાર છે. આ પ્રદેશના જુદા જુદા ગ્રામ્ય ને શહેરી વિસ્તારોની ૮૦ ટકા પ્રજા એક યા બીજા કારણોસર વેકસીન લેવા જ તૈયાર નથી.

(1)   " આવા ગામોમાં  કોરોનાને રોકવા લોકો નારિયેલના તોરણો બાંધે છે." લોકો કહે છે અમે કાંઇ ખોટું કર્યું જ નથી તો રસી કેમ લઇએ? રસી લઇએ તો  કામ બગડશે, અમે મરી જઇશું.

(2)    ધારાસભ્યો અને સાંસદો ( જેમાંથી ૯૯ ટકા બીજેપીના છે) પોતાના ગામના  લોકોને રસી લેવા નિષ્કીય રહ્યા જેથી તેમના જ ગામોનું રસીકરણ ખુબજ ઓછું થયું.

(3)   ભુવાએ  માતાજીનું કારણ બતાવી, માતાજીના નામે ડરાવે છે કે  રસી લેવાથી મરી જવાશે. આરોગ્ય અધિકારીએ ૪૫ મિનિટ સુધી સમજાવ્યા પછી ચાર લોકોમાંથી એક માણસે રસી લીધી હતી. ( આપણી સદર ગુજરાત સરકારે ભુવોનું જાહેરમાં તે બધાની લોક ઉપયોગી કાર્યોની નોંધ લઇને બહુમાન કરેલ છે. કારણકે ગ્રામીણ સમાજમાં ભુવાઓ  નિર્ણાયક વોટબેંક છે.)

(4)   રાજકોટ, જસદણ, ઉપલેટા,  ધોરાજી, વિંછીયા, વી, તાલુકાના કેટલાક ગામોમાં ફક્ત કુલ વસ્તીના 4 % થી 5% નાગરીકોએ જ રસી મુકાવી છે.

(5)    કેવા પ્રકારની માન્યાતાઓનો લોકો ભોગ બન્યા છે. *કોરોના જેવું કાંઇ જ નથી. * રસી લીધા બાદ લોકો મરી જાય છે.કોરોના શું બગાડી લેશે ?  આજદિન સુધી મને કોઇ તકલીફ પડી નથી તો રસી શું કામ લેવી? ભુવાઓ કહે છે કે માતાજીએ રસી લેવાની ના પાડી છે. જાણે કે તેમને અને માતાજીને ડાયરેક્ટ ઓનલાઇનનો સંદેશા વ્યવહાર થતો હોય!

(6)   મુસ્લિમ પ્રજા જણાવે છે કે હમણાં રોજા ચાલુ છે..  રમજાન માસ ને પુરો થયે લગભગ એક માસ થવા આવશે. પણ આ સમાજમાં પણ રસી પ્રત્યેનો પુર્વગ્રહ ઓછો થયો નથી.

(7)   ધ્રોલ  તાલુકાના સોયલ  ગામમાં તો લઘુમતી સમાજમાં તો એવી વાત ફેલાવવામાં આવી છે કે હિંદુઓ માટે એક પ્રકારની અને મુસલમાનો માટે બીજા પ્રકારની રસી તૈયાર કેવામાં આવી છે. માટે અમે મુસલમાનો રસી લેવા તૈયાર નથી.

 સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકા– કસ્બામાં પણ કોરોના રસી અંગે આવી અવૈજ્ઞાનીક અને અંધશ્રધ્ધાઓ મોટા પાયે છે.

આપણા ગામ, રાજ્ય, દેશ ને દુનીયામાંથી ઓળી– અછબડા, પોલીયો, ટીબી અને ધનુર્વા અને હડકવા વિગેરની રસી લઇને  લાખો નહી પણ કરોડો બાળકોના જાન બચાવ્યા છે અને તે બધા સામાન્ય જીંદગી જીવે છે.

કોવીડ–૧૯ના પ્રતિકાર માટે સરળ ઉપાય મોટાપાયે રસીકરણ જ છે. આપણને હવે કોઇએ સમજાવવાની જરૂર લેશ માત્ર નથી કે એકવાર કોવીડ–૧૯ની ઝપટમાં આવ્યા પછી, કુટુંબે દર્દી પાછળ કેટલા પૈસા ખર્ચવા પડે છે. દવાખાનાના અનુભવ કેવા થાય છે. કુટુંબના દરેક સભ્ય ઉપર કેટલું બધું ટેન્સન છવાઇ જાય છે. દવાખાનામાં ગયેલા દર્દીના બેહાલ કેવા થઇ જાય છે,આખરે  મૃત પામેલા સ્વજનના મૃત્યુનો મલાજો કેટલો જળવાય છે. શું આ બધુ હું અને તમે ભુલી જઇએ છીએ?

વિદેશી અખબારી જગત અને ખાસ કરીને અમેરીકાના ન્યુર્યોર્ક ટાઇમ્સ, વૉશીંગટન પોસ્ટ અને બ્રીટનના ગાર્ડીયનને ભારતમાં કોરોના થી મૃત્યુ પામેલાઓની સંખ્યા લાખો નહી કરોડોમાં અધિકૃત બતાવી છે. દેશના વડાપ્રધાન મોદીઓ ગુજરાત સહિત દરેક રાજ્યોને ખાસ સુચના આપી છે કે કોરોનાના મૃતકોની સંખ્યાના આંકડા પ્રમાણભુત અને વિશ્વાસનીય હોય તેવા બતાવો.

છેલ્લે આ કોરોના મહામારીની રસી નહી લેનારની સંખ્યા જો પચાસ ટકા કરતા, પણ વધી જશે તો આ રોગમાંથી રસી લઇને  મુક્ત થઇ જનારા પણ ફરી કોરોના સંક્રમણના હુમલામાંથી બચી શકશે નહી. કારણકે કોરોના એક વાયરસથી ફેલાતો ચેપી રોગ છે. આ વાયરસને સતત જીવતા ચાલુ રહેવા માટે , જિજીવિષા ટકાવી રાખવા ફેરફારો સરળતાથી કરતાં આવડે છે.અને ફરી રસી લેનારાઓને પણ તે હુમલો કરવાને શક્તીમાન બની શકે છે.

માટે સમગ્ર દેશના નાગરિકોના હિતાર્થે આજદિન સુધી રસી નહી લેનારઓને ખાસ આગ્રહભરી વિનંતી છે કે તમારા અજ્ઞાન,અંધશ્રધ્ધાઓ અને ભુવાઓ વિ. દ્ર્રારા ફેલાવામાં આવતી  ખોટી માન્યતાઓનો ભોગ બનશો નહી. તમે જો કુટુંબના વડીલ હોય, મોભી હોય, તમારી આવક અને કુનેહ પર કુટુંબની જીવાદોરીનો આધાર હોય તો તમારાબાલ–બચ્ચાઓ વિગેરેના હિતમં પણ સત્વરે રસી લઇ જ લો. અને અમારી આ માહિતીનો પ્રચાર પ્રસાર કરો.  

--