Thursday, July 27, 2023

હૈ! મણીપુરના નાગરિકો!


હૈ! મણીપુરના નાગરિકો!

 તમે બધાએ, અમને, તમારા રાજ્ય સત્તાધીશોને ન ઓળખ્યા? તમે, તમારા રાજ્ય મણીપુરમાં અમને બધાને, સત્તાધીશ ગુજરાતમાંથી શરૂ થયેલી ૨૦૦૨ની પ્રયોગશાળા પ્રમાણે રાજ્ય કરવા તો ચુંટીને મોકલ્યા છે. કેમ ભુલી જાવ છો? અમે તો પેલા ૨૦૦૨ના ગુજરાત મોડેલવાળા છીએ. જો કે તમારા મણીપુરનો મુખ્યમંત્રી જરા અમારા પેલા 'રાજ્યધર્મ' બજાવનાર ૨૦૦૨ના મુખ્યમંત્રી કરતાં ઓછો પરિપક્વ નીકળ્યો! તમારા સીએમ એ તો યુ ટયુબ વીડીયો પર જાહેરાત કરી દીધી કે ૩જી મે થી મારા રાજ્યમાં સ્રીઓને જાહેરમાં નગ્ન કરીને, તેના શરીર સાથે ઇચ્છા મુજબના ચેનચાળા કરીને, સરઘસ આકારે પ્રદર્શન કરીને બળાત્કાર કરવાની તમે એક જ વિડિયોથી શા માટે તમારા મગજની સ્થિરતા ગુમાવી કે ખોઇ બેસો છે? મારા રાજ્યમાં તો તેવા બનાવો સામે ન્યાય મેળવવા ૧૦૦ ઉપરાંત એફ આઇ આર કે ફોજદારી ગુના દાખલ થયા છે. મે માસથી ઇન્ટરનેટ બંધ છે. માટે  મારા રાજ્યની આવી સિધ્ધીઓ દેશ અને દુનીયા પાસે પહોંચી નથી.

     પણ સાહેબ! આ બધી સીધ્ધીઓની વિગતવાર નોંધો મેં દીલ્હી દરબારમાં મારી લાયકાતના તેમના લેજરમાં તો જમા કરાવી દિધી છે. જેથી તેને આધારે મારા પ્રમોશનમાં મને ન્યાય તો કમસે કમ મળે ને. કારણકે મણીપુરની સરકાર તો ડબલ એન્જીનવાળી સરકાર છે. તેના એજન્ડાપ્રમાણે મારી સરકાર પ્રગતિ કરે તેમાં દિલ્હીમાં બેઠેલા ડબલ એન્જીનના ડ્રાયવરના આશાર્વાદતો મારી સાથે જ હોય ને!

પણ! હું દેશ ને દુનીયા સમક્ષ સોંગદ પુર્વક જાહેર કરું છું કે અમારાથી થોડુંક કાચુ કપાઇ ગયું છે. સાલું! મારી પાસે પેલી ગુજરાતવાળી ને ન્યાયી ઠેરવવા ગુજરાતના ગોધરા મુકામે 'સાબરમતી એકપ્રેસનો સ્લપીર ડબ્બા નંબર છ' જેવા સાધનની કમી રહી ગઇ છે.

  બાકી સાહેબ! તમે અમારા પોલીસ તંત્ર પાસે રેકોર્ડમાં જે વિગતો ભેગી થઇ છે તેનો અભ્યાસ કરશો તો ચોક્કસ તમે અમારા સ્વયંસેવકોની સફળતાને બિરદાવશો જ!

સાહેબ! અમને પણ જડ માર્કસવાદના તર્કને આધારે ક્રાંતિ કદાપી ન થાય એ સારી રીતે અમારી ચદ્દી–બંડી ને થાળી– વાડકાવાળી શિબિરોના પ્રશિક્ષણમાં શીખવાડવામાં આવેલ છે. ક્રાંતિ માટે રશિયામાં લેનીનને માર્કસવાદના ગોસપેલ ઉપરાંત સામ્યવાદીપક્ષનો ઉપયોગ કરવો પડ્યો હતો. ચીનમાં માઓત્સે તુંગને માર્કસવાદી ગોસપેલ કે સિધ્ધાંતો ઉપરાંત, ચીની સામ્યવાદી પક્ષ વત્તા લશ્કર એમ ત્રણ પરિબળોનો ઉપયોગ કરવો પડયો હતો. દરેક ક્રાંતિ કરવા સાધનો જુદા જુદા શોધી કાઢીને જ ક્રાંતિ કરી શકાય એવા પાઠ અમને શાખાઓમાં ભણાવ્યા છે.

    માટે ' સાબરમતી એકપ્રેસના મોડેલને' આધારે ક્રાંતિ કરવાને બદલે અમારા મણીપુરનું ક્રાંતિનું સાધન હતું, રાજ્યના પોલીસ સ્ટેશનમાંથી તંત્રની રહેમ નજરથી શસ્રોની લુંટ કરવી– કરાવવી. પોલીસ તંત્રે મારા રાજ્યમાં સદર ક્રાંતિના યુવાવાહકોએ પોલીસ સ્ટેશનોમાંથી ફક્ત ૧૦૦૦૦ શસ્રોની લુંટ જુદા જુદા સ્થળોએ થઇ છે તેવું નોંધ્યું છે. સી એમ તરીકે મેં અમારી ક્રાંતિના વાહકોને અપીલ કરી કે આપણા જેવા ભૌગોલીક રીતે નાના રાજ્યમાં સશસ્ર ક્રાંતિ કરવા આટલા બધા સશસ્રોની જરૂર નથી. સામે પક્ષે પેલા વિધર્મીઓ તો બિલકુલ ગાંધીવાદીઓ જેવા અહિંસક અને નિ:સશસ્ર છે. તમે માનશો! મારી અપીલ સ્વીકારીને, અમારા બળવાખોરોએ આશરે ૨૦૦૦ શસ્રો પોલીસ સ્ટેશનમાં જ્યાંથી લીધા હતા ત્યાં પરત મુકી– મુકાવી દેવામાં તંત્ર પણ મદદરૂપ રહ્યું. અમે અમારા બિરાદરો પાસે ફક્ત રાયફલોમાં ઉપયોગ કરવા એકલાખ કારતુસ રહેવા દીધા હતા. આવી ક્રાંતિના મહામાનવવાદી હેતુ માટે કરેલ કાર્યમાં મારાથી તે બધા પ્રાદેશીક અને ભારતમાતાના સપુતો સામે ફોજદારી કેસો કેવી રીતે દાખલ થાય! સાહેબની ક્રોનોલોજી પ્રમાણે અમે આશરે ૩૦૦ ચર્ચ ભસ્મીભુત કર્યા છે, અગાઉથી નિશાનો કરેલા ૫૦૦૦ ઘરો જલાયા છે,હાલમાં ફક્ત ૫૦૦૦૦ બાળકો, સ્રીઓ, બુઝર્ગો વિ. ને બેઘર બનાવીને ૫૦૦ કરતાં વધુ રાહત છાવણીમાં રહેવા છેલ્લા ત્રણ માસથી જીવવા મજબુર કર્યા છે.

વિધર્મીઓ સામે હિંસા બરાબર કરવામાં અમારી પાસે ૨૦૦૨ના ગુજરાત મોડલ મુજબ 'નરોડા–પાટીયા, 'નરોડા– ગામ', 'ગોધરા– રણધીરપુર–નો બીલકીસબાનુ, વડોદરાનો બેસ્ટ બેકરી, ખેડા જીલ્લાનો ઓડનો કેસ, અમદાવાદનો અહેસાન જાફરીનો ગુલબર્ગ સોસાયટી, વિ.માં કરેલા નરસંહાર કરવાના આયોજનની કમી હતી. ગુજરાતના અમારા ક્રાંતિના સુત્રધારોએ જે ભુલો કાયદા મુજબ કરેલી તેનું ગણિત અને રસાયણશાસ્રના (Arithmetic and Chemistry)સુત્રોનું ગોખણ અમારા કાર્યકરોએ બરાબર કરાવેલું છે. તેનું લેશમાત્ર પુનરાવર્તન ન થાય  તેની ખાસ ટ્રેનીંગ ગુનો કરતાં પહેલાં, ગુનો કરવાને સમયે અને ગુનો કર્યા બાદ થાય જ નહી જેથી કોઇ માથા ફરેલ ન્યાયાધીશ(!)પાસે કેસ જાય તો પણ ભવિષ્યમાં ચિંતા ન કરવી પડે!.

અમારી ગ્રાન્ડ ડિઝાઇનના નમુના તરીકે વિડિયોમાં જે બે બહેનોને ટોળાએ નગ્ન કરી.પછી તેમના ખાનગી અંગો સાથે છેડછાડ કરી. તેમની ઉપર બળાત્કાર કરતાં પહેલાં જ પ્રત્યક્ષ પુરાવો નાશ કરવા તેમના ૧૯ વર્ષના ભાઇ અને અને તેમના પિતાની હત્યા પેલી બે નાજુક હરણીઓની દયાજનક આંખોની સામેજ  કરી નાંખી. બોલો! આનાથી વધારે કેટલી કાળજી અમારા ગુનો કરવાવાળા પુરાવના નાશ માટે કરે?

 દિલ્હીના સાહેબે તા.૩જી મેથી મણીપુરમાં ચાલુ થયેલી હિંસાના સંદર્ભમાં ૨૧મી જુલાઇ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાને બદલે ગઇકાલે પોતાના પ્રવચનની કુલ ૩૮ સેંકડ ફાળવીને ગર્જના કરી છે અમે આવા ગુનેગારોને બિલકુલ માફી બક્ષીશું નહી. ભલે આવા ગુનાઓ અમારી ડબલ એન્જીનવાળી સરકારના વહીવટ અને સત્તામાં થયા હોય! દેશના સર્વોચ્ચ સાહેબતો ! હવે રાજધર્મ બજાવવા(બોમ્બના ધડાકા પણ ન સંભળાય તેવી બહેરાશ પ્રાપ્ત કરી લીધી છે.)માટે સર્વગુણ સંપન્ન " મૌન વ્રત" ધારણ કરેલ છે.  

    પણ અમને બીજો વિચાર ભવિષ્યમાં આવશે તો નવી શિક્ષણ નીતીમાંથી જેમ ૨૦૦૨ના ગુજરાતનો નરસંહાર થયો જ નથી તેવી નોંધ ઇતિહાસમાં નોંધાવી દીધી. તેવા આધુનિક મણીપુરના ઐતીહાસીક સત્યની નોંધ ચોકકસ કરાવી દઇશું.

આ બધાની ચર્ચા સંસદમાં કરવાનો શું અર્થ છે.? કેમ? સાહેબે! પોતાની સંસદીય કારર્કીદીની શરૂઆત સંસદના પગથીયાને સાક્ષાત દંડવંત કરીને " Holier than cow" સંસદ પ્રત્યેની વફાદારી સાબિત કરી દિધી છે. પછી 'કથની કરણી'નો પ્રશ્ન પેલા ઇસ્ટ ઇંડીયા કુંપનીવાળા કે આતંકવાદી ઇન્ડીયન મુજજાહિદ્દીનો કેમ વારંવાર ઉઠાવીને બુમરાણ કરે છે?  

--