Saturday, September 10, 2022

માનનીય મોદીજી,અમારે રાજપથથી કર્તવ્યપથ પરનથી જવું પણ માનવપથ તરફ જવું છે.


માનનીય મોદીજી,

અમારે રાજપથથી કર્તવ્યપથ પર નથી જવું પણ માનવપથ તરફ જવું છે. માનવપથ એટલે માનવીના શસક્તીકરણ તરફ દોરી જનારો પથ. માનવ માનવ વચ્ચે નફરતને બદલે પ્રેમ, અનુકંપા અને ત્યાગ માટે અહર્નીષ તત્પર પથ. માનવ માત્ર જન્મથી સમાન છે તેવા સ્વપ્નને સાકાર કરનારો પંથ.

     ગોરી સલ્તનની વારસામાં મળેલી ગુલામી તો ક્રમશ; ઘસાતી જાય છે. પણ હીંદુ ચાર–વર્ણવ્યવસ્થાએ હજારો વર્ષોથી જે બ્રાહ્મણવાદી માનવ વીરોધી સામાજીક સત્તાએ દલીતો, આદીવાસો, વંચીતો અને સ્રીઓપર જે ગુલામી ઠોકી બેસાડી છે તે માનસીકતા છેલ્લા દાયકામાં તો ખુબજ બેલગામ બની ગઇ છે. તેમના માટે ફક્ત જીવવું જ નહી પણ આ શ્વાસ લેવાનું પણ દુર્લભ બનાવી દીધું છે.

   ગોરી ગુલામ માનસીકતાના વારસોની અસરો કરતાં, આ સદીઓથી દેશી, પાળી ,પંપાળી ને બળવત્તર બનાવેલી સામાજીક ગુલામ માનસીકતા એટલી બધી નાગરીકોના લોહીમાં ઉતરી ગઇ છે કે જાણે સમગ્ર પ્રજાનું માનવ તરીકેનું તેણે ડીએનએ જ બદલી નાંખ્યું છે. તેનો પડકાર સ્વીકારવો, તેની સામે જાનની બાજી લગાવી દઇને ઝઝુમવુ, તેની સામેનો સંઘર્ષ ક્યારે થશે અને કોણ કરશે?

   તે તરફ જવાના માર્ગને " અમે ભારતના લોકો" ( WE THE PEOPLE OF INDIA)ના હીતમાં તમારે જે નામ આપવું હોય તે આપો પણ " કર્તવ્યપથ" નામ ન આપશો. કેમ? કારણ કે હીંદુ સમાજે તેના તમામ સભ્યોને આ બ્રાહ્મણવાદી ચતુવર્ણવ્યવસ્થાએ જન્મની સાથે દરેક હીંદુના કર્મો નક્કી કરીને તેમનો કર્તવ્યપથ નક્કી કરેલો જ છે.પછી જ તે બધાને ' મેરા દેશ મહાન'માં મોકલ્યા છે.

     જે શોષણખોર છે, અમાનવીય છે. ભુતકાળમાં ભરપટ હીંસક હતો. અને આજે વધુ અને વધુ હીંસક બનવાની ક્ષમતા ધરાવે છે. આપણા બંધારણના ઘડવૈયાની ઇચ્છા પ્રમાણે ' અમે ભારતના લોકો' બનવું હશે તો સદર કર્તવ્યપથની અર્થી કે કબર પર જ ' માનવપથ' ની નવી ઇમારત બનાવવી પડશે.

--