Thursday, September 21, 2023

   સિધ્ધાંત સાત–

સ્વાતંત્રયના નૂતન જગતનું નિર્માણ કરવા સારુ ક્રાંતિએ સમાજની આર્થીક પુનર્રચનાથી આગળ વધવું જોઇએ. દલિત અને શોષીત વર્ગોના નામે રાજ્યસત્તા કબજે કરવાથી અને ઉત્પાદનના સાધનોમાંથી ખાનગી માલિકી નાબુદ કરવાથી આપોઆપ સ્વતંત્રતા સ્થાપાઇ જશે એમ માનવું બરાબર નથી.

 અર્થઘટન–

માનવી વ્યક્તિગત અને સામુહિક રીતે પ્રવર્તમાન રાજકીય,આર્થીક, સામાજીક, લશ્કરી કે ધાર્મીક સરમુખત્યારશાહી સત્તા નીચે ગુલામીમાં સબડતો હોય છે. પરતંત્ર હોય છે. માર્કસવાદ આધારીત સામ્યવાદી પ્રથા મુજબ રશિયા, ચીન સહિત અન્ય દેશોમાં ખાનગી મિલકત નાબુદ કરીને, પક્ષીય સરમુખત્યારશાહીની એડીનીચે જડબેસલાક રાજ્યમુડીવાદી વ્યવસ્થા અમલમાં મુકીને સમાજમાં આર્થીક પુનર્રચના કરવાથી લોકોમાં આપોઆપ સ્વતંત્રતાના મુલ્યો આધારીત જીવન પધ્ધતિ વિકસી જશે તે એક દિવાસ્વપ્નથી બની ગયું છે.ખરેખર તે પ્રથામાં તેના નાગરીકો સ્વતંત્રતા અને મિલકત બંને ગુમાવે છે. સિધ્ધાંત –આઠમાં વિગતે આ મુદ્દો સમજાવેલ છે. મારા મત મુજબ તેમાં મારા અર્થઘટન પણ જરૂરી નથી.

 સિધ્ધાંત આઠ–

સામ્યવાદ અથવા સમાજવાદને સ્વાતંત્રયનું સિધ્ધ કરવાનું એક સાધન માનવામાં આવે એ બનવા જોગ છે, પણ કેવી રીતે તે એ ધ્યેય હાંસલ કરી શકશે,તેનું મુલ્યાંકન તો અનુભવને આધારે જ કરવું જોઇએ. હાડચામના બનેલ મનુષ્ય વર્ગ અથવા રાષ્ટ્ર દ્રારા અભિવ્યક્ત થતા સામુહિક અહંને આધીન બનાવી મુકનાર રાજકીય પ્રથા અને આર્થીક પ્રયોગ, સ્વાતંત્રયનું ધ્યેય હાંસલ કરવાનાં ઉચિત સાધનો સંભવત: બની શકે નહી. સ્વાતંત્રયનો ઇન્કાર સ્વાતંત્રય ભણી લઇ જશે એ દલીલ સાવ વાહિયાત છે.. બીજી બાજુ, કાલ્પનિક સામુહિક અહંની વેદી પર વ્યક્તિનો ભોગ આપવો, એને કોઇ રીતે સ્વાતંત્રય કહેવાય નહી. જે કોઇ સામાજીક તત્વજ્ઞાન અથવા સામાજીક નવનિર્માણની યોજના વ્યક્તિની સર્વોચ્ચતાનો અસ્વીકાર કરતી હોય ને સ્વાતંત્ર્યના આદર્શને ખાલી પોકળતા ગણતી હોય, તે તત્વજ્ઞાન અથવા યોજનાનું પ્રગતિશીલતા કે ક્રાંતિની દ્રષ્ટીએ ઝાઝું મહત્વ રહેતું નથી.

(તા.ક નીચેના બે મહાનુભાવોને સાચા રંગે ઓળખવામાં ભુલ કરીએ તો?)

 

 

http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com